15 September, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ડિજિટલ પેમેન્ટ (Digital Payment) અંગે ઉદ્ભવેલી આશંકાઓ પર પૂર્ણવિરામ મુકતાં નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રુપિયા ૨,૦૦૦ સુધીના યુનિફાઇડ પેમેન્ટ્સઇન્ટરફેસ (Unified Payments Interface) વ્યવહારો અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ દ્વારા થતી ચૂકવણી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. નાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર સંભવિત ચાર્જ અંગેની અફવાઓને ફગાવતા સરકારી અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે નાણાકીય સંસ્થાઓ અને પેમેન્ટ સેવા પ્રદાતાઓ નાના મૂલ્યના ડિજિટલ ટ્રાન્સફર પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કે અન્ય કોઈ પ્રોસેસિંગ ફી વસૂલી શકશે નહીં.
નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં સરકારે પુષ્ટિ કરી છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે શૂન્ય-MDR નીતિ સંપૂર્ણપણે અમલી રહેશે. આ માળખા હેઠળ, રુપિયા ૨,૦૦૦ થી ઓછી કિંમતના સામાન્ય પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) અથવા પીઅર-ટુ-પીઅર (P2P) ટ્રાન્સફર માટે વેપારીઓ કે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેંકો અને ફિનટેક કંપનીઓને નાના મૂલ્યના પ્રોસેસિંગ ખર્ચ સામે રાહત આપવા માટે સરકાર તરફથી નાણાકીય પ્રોત્સાહન (સબસિડી) આપવામાં આવી રહ્યું છે, જેથી નાના વેપારીઓ કે ગ્રાહકો પર ડિજિટલ પેમેન્ટના ઉપયોગ માટે વધારાનો આર્થિક બોજ ન પડે.
રુપિયા ૨,૦૦૦ થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ વોલેટ (Prepaid Payment Instruments) દ્વારા થતી ચૂકવણી અંગેની ભ્રમણાઓ પર પણ સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય બેંક-ટુ-બેંક UPI ટ્રાન્સફર રકમ ગમે તેટલી હોય તો પણ રિટેલ ગ્રાહકો માટે સંપૂર્ણપણે મફત રહેશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની માર્ગદર્શિકા હેઠળ લાગુ પડતા દર માત્ર એવા વ્યાપારીઓ (મર્ચન્ટ્સ) ને લાગુ પડે છે જેઓ મર્ચન્ટ QR કોડ દ્વારા રુપિયા ૨,૦૦૦ થી વધુની વોલેટ આધારિત ચૂકવણી સ્વીકારે છે. સામાન્ય બચત ખાતાધારકો દ્વારા કરવામાં આવતા સીધા UPI ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગશે નહીં.
શૂન્ય-MDR નિયમોના કારણે બેંકિંગ ક્ષેત્ર અને પેમેન્ટ એગ્રીગેટર્સને થતા આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર દર વર્ષે આર્થિક રાહત પેકેજ ફાળવે છે. આ પ્રોત્સાહક યોજના નાણાકીય સંસ્થાઓને ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં રૂપે ડેબિટ કાર્ડ અને BHIM-UPI ના ઉપયોગનો વ્યાપ વધારવા માટે મદદ કરે છે.
પ્રોસેસિંગ ખર્ચમાં સબસિડી આપીને સરકારનો હેતુ નાના વ્યવસાયો, ફેરિયાઓ અને કિરાણા સ્ટોર્સને ચાર્જની ચિંતા કર્યા વિના ઈલેક્ટ્રોનિક ચૂકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે રુપિયા ૨,૦૦૦ થી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન ભારતના દૈનિક UPI વોલ્યુમનો મોટો હિસ્સો ધરાવે છે, જે દેશની રિટેલ ડિજિટલ વ્યવસ્થાની મુખ્ય કરોડરજ્જુ છે. નાણાં મંત્રાલયની સમયસરની આ સ્પષ્ટતાથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહેશે અને દેશભરના લાખો વેપારીઓ માટે ડિજિટલ વ્યવહારો સરળતાથી ચાલુ રહેશે.
નાણાકીય વિશ્લેષકોના મતે, રોજિંદા વ્યવહારો પર શૂન્ય ચાર્જ જાળવી રાખવાથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનશે અને વેપારીઓ તેમજ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ્સ બંનેને સતત વૃદ્ધિ મળશે.