10 May, 2026 06:11 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૉંગ્રેસ પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી આકરો હુમલો કર્યો. બૅંગલુરુમાં આયોજિત એક વિશાળ વિજય રૅલીને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ કૉંગ્રેસને ‘પરોપજીવી પાર્ટી’ ગણાવી. તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ એક એવી પાર્ટીમાં વિકસિત થઈ છે જે પોતાના અસ્તિત્વ માટે બીજાઓ પર આધાર રાખે છે અને પહેલી તક મળતા જ પોતાના સાથીઓને દગો આપે છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની તાજેતરની ચૂંટણી સફળતા બાદ વડા પ્રધાનને અભિનંદન આપવા માટે આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમિલનાડુમાં કૉંગ્રેસ અને DMK વચ્ચેના તાજેતરના સંબંધોમાં તણાવનો ઉલ્લેખ કરતા, PMએ અન્ય પ્રાદેશિક પક્ષોને ચેતવણી આપી. તેમણે કહ્યું, "કૉંગ્રેસે હવે પરોપજીવી પાર્ટીની ઓળખ મેળવી લીધી છે. આ જ કારણોસર, જ્યારે તેમને પહેલી તક મળે છે, ત્યારે તેઓ તેમના સાથીઓને દગો આપે છે." કૉંગ્રેસ અને DMK વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતા, પીએમ મોદીએ નોંધ્યું કે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન DMKએ દસ વર્ષ સુધી સ્થિરતાના સ્તંભ તરીકે સેવા આપી હતી. તેમણે ટિપ્પણી કરી, "DMKએ કૉંગ્રેસને ફાયદો કરાવવા માટે અથાક મહેનત કરી અને અનેક વખત તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યા. પરંતુ હવે શું થયું? જે ક્ષણે સત્તાની ગતિશીલતા બદલાઈ, સત્તા માટે ભૂખી કૉંગ્રેસે પહેલી જ તક મળતાં DMKની પીઠમાં છરો ભોંકી દીધો."
વડા પ્રધાને વધુમાં આરોપ કારયૂ કે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી `તમિઝગા વેત્રી કઝગમ` (ટીવીકે) પ્રત્યે કૉંગ્રેસનો નવો ઝુકાવ ફક્ત તેના ‘પરોપજીવી વર્તન’નું વિસ્તરણ છે. તેમણે દાવો કર્યો કે, તમિલનાડુમાં તેની સુસંગતતા જાળવવાના પ્રયાસમાં, કૉંગ્રેસ ફક્ત સવારી કરવા માટે એક નવો ‘ખભો’ શોધી રહી છે. સત્તા વિરોધી લહેરના મુદ્દા પર કૉંગ્રેસની મજાક ઉડાવતા, મોદીએ ટિપ્પણી કરી, "દેશભરમાં, ભાજપ સરકારો સત્તામાં પાછી ફરી રહી છે, જ્યારે કૉંગ્રેસ ક્યારેય કોઈપણ રાજ્યમાં સત્તા જાળવી શકી નથી. થોડા મહિનામાં જ, લોકોને ખ્યાલ આવે છે કે તેમની `ગૅરંટી` જૂઠાણાના બંડલ સિવાય કંઈ નહોતું."
કર્ણાટક સરકારમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા પર કટાક્ષ કરતા, પીએમ મોદીએ કહ્યું કે જનતાની ફરિયાદોનું નિરાકરણ લાવવાને બદલે, વહીવટીતંત્ર પોતાનો મોટાભાગનો સમય પોતાના આંતરિક મતભેદોને દૂર કરવામાં વિતાવી રહ્યું છે. તેમણે કટાક્ષ કર્યો, "તેઓ હજી સુધી નક્કી કરી શક્યા નથી કે વર્તમાન મુખ્ય પ્રધાન કેટલા સમય સુધી પદ પર રહેશે. તેમણે `બીજા વ્યક્તિને` પણ અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધા છે. તેમને તક આપવામાં આવશે કે નહીં તે અનિશ્ચિત છે." આ દરમિયાન, કેરળમાં મુખ્ય પ્રધાન પદ અંગે પ્રવર્તમાન અનિશ્ચિતતાને સંબોધતા, તેમણે નોંધ્યું કે ત્યાં ‘કૉંગ્રેસ ઇકોસિસ્ટમ’ સંપૂર્ણપણે શાંત પડી ગઈ છે. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું, "તેઓ એક પણ નેતા નક્કી કરી શકતા નથી. તેઓ મૂંઝવણમાં છે કે શું તેમણે અઢી વર્ષ માટે બે મુખ્ય પ્રધાનો નિયુક્ત કરવા જોઈએ કે પાંચ મુખ્ય પ્રધાનો એક-એક વર્ષ માટે." તેમણે કૉંગ્રેસ પર પોતાના જ પક્ષના કાર્યકરોને ખોટા વચનો આપવાનો પણ આરોપ લગાવ્યો.