01 May, 2026 06:43 PM IST | jabalpur | Gujarati Mid-day Online Correspondent
ઘટનાના દ્રશ્યો (તસવીર: મિડ-ડે)
મધ્યપ્રદેશના જબલપુરમાં બર્ગી ડેમ ખાતે બોટ અકસ્માતે અનેક પરિવારોને શોકમાં ડૂબાડી દીધા છે. શુક્રવારે સાંજે હવામાન અચાનક બગડતાં પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ પલટી થઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 22 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હજી કેટલાક લોકો ગુમ હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે અચાનક હવામાન બદલાયું અને જોરદાર ધૂળ અને પવન ફૂંકાવા લાગ્યો. ડેમનું શાંત પાણી અચાનક તોફાની બની ગયું અને તીવ્ર પવનને કારણે બોટ ડગમગવા લાગ્યું. મોજાઓ ખૂબ જ ઉછળી રહ્યા હતા, જેના કારણે ક્રૂઝએ તેનું સંતુલન ગુમાવ્યું હતું. થોડી જ ક્ષણોમાં એક જોરદાર મોજું આવ્યું અને ક્રૂઝ એક તરફ નમ્યું, ત્યારબાદ તે પલટી ગયું અને તેમાં સવાર તમામ પાણીમાં પડી ગયા.
નજીકમાં ચાલી રહેલા બ્રિજના બાંધકામ દરમિયાન હાજર રહેલા સ્થાનિક યુવક વિકી પટેલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ અચાનક વણસી ગઈ હતી અને લોકોને બહાર નીકળવાની પણ તક મળી ન હતી. તેણે કહ્યું કે મોજા એટલા જોરદાર હતા કે ક્રૂઝ રમકડાની જેમ ઉપર-નીચે આગળ ચાલી અને પછી અચાનક પલટી ગઈ.
પ્રશાસનના જણાવ્યા અનુસાર, બોટમાં 29 લોકો સવાર હતા. જોકે, પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે કેટલાક લોકો ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે આગળ આવ્યા અને અનેક લોકોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બાદમાં સેના પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીની જવાબદારી સંભાળી હતી. દરમિયાન એક પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું એક છોકરી તેની માતા, ભાઈ અને દાદીની સામે ડૂબી ગઈ, જ્યારે તેના પિતાએ તેનો હાથ પકડીને બન્નેનો જીવ બચાવ્યો. અન્ય એક પિતા નદી કિનારે રડતો જોવા મળ્યો હતો કારણ કે તેની પત્ની અને પુત્ર ગુમ હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, મૃતકોના પરિવારજનોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ દુર્ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવીને, તેમણે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
મધ્યપ્રદેશના પ્રવાસન મંત્રી ધર્મેન્દ્ર સિંહ લોધીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે અકસ્માત માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.