04 March, 2025 07:00 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના આધુનિક સમયમાં, મોબાઈલ ઈન્ટરનેટ અને દરરોજ ૨ જીબી ડેટાના યુગમાં, ગરીબી અને સરકારી આરોગ્ય વ્યવસ્થાની ખામીઓના કારણે ઘણા લોકો અંધશ્રદ્ધાના શિકાર બને છે. ગ્રામીણ વિસ્તારોમાં નવજાત શિશુઓ અને નાના બાળકોના રોગોને શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે. ઓડિશાના નબરંગપુર જિલ્લામાં આવા જ એક કિસ્સામાં, એક મહિનાના બાળકને સારવારના નામે ગરમ લોખંડના સળિયા વડે ૪૦ વખત ડામ આપવામાં આવ્યા.
નબરંગપુરના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) ડૉ. સંતોષ કુમાર પાંડાએ હૉસ્પિટલની મુલાકાત લીધી અને જણાવ્યું કે બાળકની તબિયતમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, "બાળકના પેટ અને માથા પર લગભગ 30 થી 40 દાઝવાના નિશાન દેખાઈ રહ્યા છે." આ દુખદ ઘટના અંધશ્રદ્ધાના કારણે બની હતી, કારણ કે બાળકના પરિવારજનો માનતા હતા કે જો બાળકને ગરમ લોખંડના સળિયાથી ડામ આપવામાં આવશે, તો તેના બધા રોગો મટી જશે અને તે તંદુરસ્ત થઈ જશે.
તબીબી ટીમના જણાવ્યા અનુસાર, બાળકને લગભગ દસ દિવસ પહેલાં તાવ આવ્યો હતો અને તે સતત રડતો હતો. તાવ અને બીમારીની ગંભીરતા સમજવાને બદલે, પરિવારના સભ્યોએ પરંપરાગત રીતે ઈલાજ કરવાના પ્રયત્નો કર્યા. તેના પરિણામે, બાળકને વારંવાર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા, જેનાથી તે વધુ પીડામાં મુકાઈ ગયું. સારવાર કરી રહેલા ડૉક્ટરોએ પણ પુષ્ટિ કરી હતી કે ગરમ સળિયાથી દાગવાને કારણે બાળકના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે, અને જો યોગ્ય સમયસર તેને તબીબી સારવાર ન મળી હોત, તો પરિસ્થિતિ વધુ બગડી હોત.
ડૉ. પાંડાએ જણાવ્યું કે બાળકના પરિવારજનોનું માનવું હતું કે તેનામાં કોઈ દુષ્ટ આત્માનો વાસ છે, અને તેના કારણે તે બીમાર પડી રહ્યો છે. આ માન્યતા અને અંધશ્રદ્ધાને કારણે, તેમણે બાળકને તબીબી સારવાર આપવા માટે ડૉક્ટર પાસે લઈ જવાની જગ્યાએ ઘરેલું અને ખોટી પદ્ધતિ અપનાવી. પરિવારના સભ્યોએ બાળકના શરીર પર ગરમ લોખંડના સળિયાથી સતત 30 થી 40 વાર દાગ્યું. તેઓએ માન્યું કે આ રીતથી બાળક પરના દુષ્ટ પ્રભાવ દૂર થઈ જશે અને તેની તબિયત સાજી થઈ જશે. પરંતુ, આ પીડાદાયક પ્રક્રિયાના કારણે બાળકની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. ગરમ લોખંડના સળિયાથી દાઝવાને કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયું. શારીરિક ઈજાઓ અને બળતરા વધતા તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી. બાળકની તબિયત સતત ખરાબ થતા તેને અંતે ઉમરકોટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું, જ્યાં ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર આપી.
સીડીએમઓ ડૉ. સંતોષ કુમાર પાંડાએ વધુમાં જણાવ્યું કે આવા બનાવો પ્રાથમિક આરોગ્ય સેવાઓથી વંચિત વિસ્તારોમાં વારંવાર જોવા મળે છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગે ખાસ કરીને ચાંદહાંડી બ્લૉકમાં આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગનો ઉદ્દેશ્ય છે કે લોકો બાળકોની તબીબી સમસ્યાઓ માટે ખોટી અને હાનિકારક પદ્ધતિઓ અપનાવવા બદલે, તેમને યોગ્ય સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જાય.