14 June, 2024 01:49 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
શ્રી જગન્નાથ મંદિર
ઓડિશાના નવા મુખ્ય પ્રધાન મોહન માઝીએ સત્તારૂઢ થયા બાદ પહેલી જ કૅબિનેટ મીટિંગમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય ગેટ પાછા ખોલવાનો નિર્ણય લીધો હતો. એ મુજબ ગઈ કાલે સવારે જ મંદિરના ચારેય ગેટ શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યા હતા. કોરોના વખતે આ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એને ખોલવામાં ન આવતાં આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ચૂંટણીઢંઢેરામાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તા પર આવશે તો ચારેય ગેટ ખોલી નાખવામાં આવશે.
ગઈ કાલે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન પોતાના બન્ને નાયબ મુખ્ય પ્રધાન, વિધાનસભ્યો અને જગન્નાથપુરીના સંસદસભ્ય સાથે સવારે ૬.૩૦ વાગ્યે મંદિરમાં પહોંચી ગયા હતા અને મંગળા આરતી કરી હતી.