T20 વર્લ્ડ કપ જીતીને સ્વદેશ આવવા થનગનતા ભારતીય ક્રિકેટરો વાવાઝોડા બેરિલને લીધે હજી બાર્બેડોઝમાં જ અટવાયા છે
ભારતીય ક્રિકેટરો જે હોટેલમાં રોકાયા છે ત્યાં કેવી રીતે ખાવા-પીવાનું પીરસાઈ રહ્યું છે એના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે
બાર્બેડોઝમાં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમને જીત બાદ હોટેલમાં પેપર પ્લેટમાં જમવાનો વારો આવ્યો હતો. ટીમ અને સપોર્ટ સ્ટાફને લાઇનમાં ઊભા રહીને ભોજન લેવાની ફરજ પડી હતી.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા હાલમાં ‘બેરિલ’ નામના વાવાઝોડાની ચેતવણીને કારણે બાર્બેડોઝમાં ફસાઈ છે, બાર્બેડોઝથી બહાર જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા પહેલી જુલાઈએ ભારત આવવા રવાના થવાની હતી, પણ હાલમાં બાર્બેડોઝમાં હાઈ અલર્ટ છે. ઍરપોર્ટને વાવાઝોડાનો ખતરો ઓછો થયા બાદ ખોલવામાં આવશે. બાર્બેડોઝમાં તમામ હોટેલ, રેસ્ટોરાં અને દુકાનો બંધ છે. કટોકટીની પરિસ્થિતિના કારણે ખેલાડીઓ કે સ્ટાફને હોટેલ છોડવાની પરવાનગી નથી. સ્ટાફની અછતને કારણે ભોજન માટે પેપર પ્લેટનો ઉપયોગ જરૂરી બન્યો હતો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)