માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટીના સાગરતટ પર આવેલું શિવ મંદિર એટલે ‘શ્રી બાબુલનાથ મંદિર’ બાબુલનાથ મહાદેવ પર અનેક શ્રદ્ધાળુઓ આસ્થા રાખે છે. એકસોને દસ દાદરા ચડીને લોકો બાબુલનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. કેટલાય દર્શનાર્થીઓ અહીં પરિવાર સહ આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ અને સોમવારે તો જનમેદની ઉભરાય છે. દીવો રાખીને નાગરવેલનું એક એક પાંદડું 110 દાદરા પર મૂકતાં મૂકતાં ભક્તો બાબુલનાથ દાદાના દર્શનાર્થે પહોંચે છે. દાદરની આજુ બાજુ સરસ ચોરસ ખાનાં બનાવવામાં આવ્યા છે. આ ખાનાંઓ નાગરવેલના પાંદડાઓ અને દિવાઓથી ભરાયેલા હોય છે.
29 August, 2023 12:26 IST | Mumbai | Dharmik Parmar