ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી ગૅલરીનું ગાર્ડન ખતમ થઈ જશે. અલબત્ત, ઉનાળામાં તો ફૂલધરા છોડ વધુ સરસ રીતે ખીલે છે. યોગ્ય ફૂલધરા છોડ વાવીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉનાળાની ગરમીમાં પણ લીલોતરું રંગીન ગાર્ડન ઘરમાં મસ્ત શાતા આપશે. આવું કઈ રીતે શક્ય છે આવો જાણીએ
ગરમીની ઋતુમાં હર્યાંભર્યાં વૃક્ષોની હરિયાળી આંખોને ઠંડક આપે એ માટે લોકો વૃક્ષોની તાજી હવાની લહેરખી માણવા દિવસે નહીં તો રાતે પણ બહાર નીકળી પડે છે. ગમેએટલા પંખા કે ACમાં રહો, ફૂલઝાડ જે તાજગી બક્ષે છે એવો મૅજિક હજી પણ મશીન નથી આપી શકતાં. જોકે દરેક માટે આમ ટહેલ પણ સરળ નથી હોતી એટલે લોકો ઘરમાં એકાદ ખૂણામાં નાનો તો નાનો છોડ વાવી નાનકડો બગીચો બનાવી ઠંડકનો લહાવો લણી લે છે. એમાંય હરિયાળી સાથે જો રંગબેરંગી ફૂલો ભળે તો શું વાત. સવાલ થાય કે ગરમીમાં પણ શું બહાર ખીલતી હશે? જવાબ છે, હા. આ વિશે વાત કરતાં પ્લાન્ટેશન નિષ્ણાત અને લૅવિશ લૅન્ડસ્કેપના ઓનર મનોજ મહેતા કહે છે, ‘ગરમીની ઋતુ આમ તો કોઈ પણ છોડ માટે બહુ જ પડકારજનક હોય છે, પણ આવી ગરમી ફૂલોવાળા છોડ માટે વરદાનરૂપ છે અને એમાં જે પ્લાન્ટ ઊગે છે એને મરણ નથી હોતું, આ એટલા મજબૂત છોડ હોય છે. જો તમે એની ડાળી કટ કરીને ક્યાંક લગાડો તો એ ફરી ઊગવા લાગશે. દસ મિલીલિટર પાણીમાં પણ એ છોડ સરસ સર્વાઇવ કરી શકે છે. શરત એટલી જ કે આ દરેકને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ.’
ગરમીમાં તમે આ ફૂલોના પ્લાન્ટ્સ વાવી શકો છો. એ વિશે મનોજ મહેતા પાસેથી જાણકારી મેળવીએ.
માટી અને ખાતર ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં મૅક્સિમમ સનલાઇટ આવે છે એવો ખૂણો પસંદ કરવા પર ભાર મૂકતાં મનોજભાઈ કહે છે, ‘આમ તો આ બધા ચારથી ૬ કલાક સૂર્યપ્રકાશ માગતા પ્લાન્ટ્સ છે. ઘરમાં લગભગ આ રીતે જ સૂર્યપ્રકાશ મળતો હોય છે. માટીનું મીડિયમ પોરસ રાખવું. પાણી સાંજે જ આપો. પ્લાન્ટના હિસાબે ખાતર આપવું. એપ્રિલ મહિનો ખાતર આપવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારું કૂંડું એક ફુટનું અને છોડ એક ફુટનો છે તો પાંચથી છ સ્પૂન ખાતર આપો. નૅચરલ ખાતરમાં વર્મી કમ્પોસ્ટ અથવા નીમ પેટ આપો. અથવા એક વર્ષ જૂનું છાણનું ખાતર જે સાવ ભૂકો થઈ જતું હોય એ આપી શકાય. એપ્રિલ મહિનો ખાતર આપવાનો સમય છે.’
પાણી આપવાની યોગ્ય પદ્ધતિફૂલધરા છોડ માટે સૂર્યપ્રકાશનો મોટો રોલ છે એમ જ પાણીનો પણ છે એવું જણાવતાં મનોજભાઈ કહે છે, ‘લોકો વિચારે છે કે બહુ તડકો પડે છે તો વધુ પાણી આપવું ખોટું છે. જો તમારે ત્યાં રાતે ઠંડક પડે છે તો પાણી ઓછું આપો. જો તમારે ત્યાં રાતે પણ ગરમી છે તો સવારે સાત વાગ્યા પહેલાં પાણી આપો. સાદું લૉજિક છે, ગૅસ પર પાણી મૂકીએ તો વરાળ લાગે અને એ આપણનેય લાગે. એવી જ રીતે તડકામાં પાણી આપો તો એ જે વરાળ નીકળે એ પ્લાન્ટને નુકસાન કરે છે. એટલે સવારે ગરમી ચડે એ પહેલાં પાણી આપો અથવા સાંજે પાંચ-છ વાગ્યે જ્યારે સૂર્યનો પ્રકાશ પ્લાન્ટ પર સીધો ન પડતો હોય ત્યારે પાણી આપવું.’
07 March, 2025 07:00 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala