સૌરાષ્ટ્રના મહુવાના કાકીડી ગામે ચાલી રહેલી રામકથામાં પ્રવેશદ્વાર પર લહેરાય છે તિરંગો
મોરારીબાપુની કથામાં રાષ્ટ્રધ્વજ
કથાસત્સંગમાં સામાન્ય રીતે ધર્મધ્વજ લહેરાતા જોવા મળે છે, પરંતુ સૌરાષ્ટ્રના મહુવાના કાકીડી ગામે ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં પ્રવેશદ્વાર પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. જ્યાં પણ કથા-સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સામાન્ય રીતે કેસરી, લાલ સહિતના કલરની ધજા-પતાકા લહેરાતી હોય છે; પરંતુ જાણીતા કથાકાર મોરારીબાપુની કાકીડી ગામે ચાલી રહેલી રામકથામાં જેકોઈ સત્સંગી જાય છે તેમને પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે. રામકથા દરમ્યાન મોરારીબાપુ સામાજિક સમરસતાના પ્રેરક પ્રસંગો કહેતા હોય છે ત્યારે એની સાથોસાથ મોરારીબાપુ રાષ્ટ્રભાવનાને લઈને પ્રસંગ ટાંકતા હોય છે અને રાષ્ટ્રપ્રેમની વાત કરીને ભારત માતાને યાદ કરતા હોય છે.