ચૂંટણીના બીજા ચરણ બાદ પ્રચારના ગરમાગરમ માહોલમાં પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK)ના મુદ્દાએ જબરદસ્ત જોર પકડ્યું છે અને બીજી તરફ PoKમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન, હિંસક મારામારી અને ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયાં છે.
PoKની નીલરત્ન ગણાતી નીલમ નદીનો નજારો.
૧૯૪૭ની ૨૬ ઑક્ટોબરે જ્યારે રાજાશાહી નેતૃત્વ હેઠળના રાજ્ય જમ્મુ અને કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહે તેમના રાજ્યને ભારત સાથે જોડી લેવાની ઇચ્છા વ્યક્ત કરી અને ત્યાર બાદ તેમણે આ અંગેના ઍગ્રીમેન્ટ પર સહી પણ કરી આપી હતી. એનું એક કારણ એ હતું કે ભારતથી વિભાજિત થયેલો હિસ્સો જે પાકિસ્તાન તરીકે નવા દેશનું નામ પામ્યો હતો એની આર્મીએ કાશ્મીર રાજ્યની કેટલીક આદિવાસી પ્રજાને ભોળવીને જમ્મુ-કાશ્મીરને ગેરકાયદે પચાવી પાડવાની પેરવી કરી હતી. તેમણે દગાખોરીથી રાજ્યનો કેટલોક હિસ્સો પચાવી પણ પાડ્યો હતો. રાજવીએ અચાનક થયેલા આ હુમલા સામે લાડવા માટે ભારત પાસે મદદ માગી અને ભારતે પોતાની આર્મી મોકલીને મદદ કરી પણ ખરી.