PACના ચૅરપર્સન કે. સી. વેણુગોપાલે આ નિર્ણય મનસ્વી રીતે લીધો હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય રવિ શંકર પ્રસાદે કર્યો હતો
માધબી પુરી બુચ
માર્કેટ રેગ્યુલેટર્સના પર્ફોર્મન્સનો રિવ્યુ કરવા માટે પાર્લમેન્ટની પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC)એ ગઈ કાલે રાખેલી મીટિંગ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નાં ચૅરપર્સન માધબી પુરી બુચ અને અન્ય અધિકારીઓ હાજર રહી શકે એમ ન હોવાથી મુલવતી રાખવામાં આવી હતી. PACના ચૅરપર્સન કે. સી. વેણુગોપાલે આ નિર્ણય મનસ્વી રીતે લીધો હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય રવિ શંકર પ્રસાદે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કે. સી. વેણુગોપાલના આ વર્તનની ફરિયાદ કરવા તેઓ બીજા અન્ય સંસદસભ્યો સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળશે.
માધબી પુરી બુચ પર હિન્ડેનબર્ગે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો આરોપ મૂક્યો હોવાથી PAC સમક્ષ તેમની હાજરીને લઈને ઘણા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે અમને સવારે ૯.૩૦ વાગ્યે જણાવવામાં આવ્યું કે SEBIનાં ચૅરપર્સન અને બીજા મેમ્બરો અંગત અનિવાર્ય કારણોસર મીટિંગ માટે દિલ્હી ટ્રાવેલ કરી શકે એમ નથી, આ વિનંતીને ધ્યાનમાં રાખીને PACની મીટિંગ મુલતવી રાખવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.