લાલુ યાદવ પરિવારના નિકટવર્તી અને બિહાર વિધાનસભાના મેમ્બર સુનીલ કુમાર સિંહે રોહિણીને બિહારની સારણ લોકસભા બેઠક પરથી ટિકિટ આપવાની માગણી કરી છે.
લાલુ પ્રસાદ યાદવ , દીકરી રોહિણી આચાર્ય
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સર્વેસર્વા લાલુ પ્રસાદ યાદવને પોતાની એક કિડની આપનારી અને સિંગાપોરમાં રહેતી તેમની ૪૪ વર્ષની ડૉક્ટર-દીકરી રોહિણી આચાર્ય સક્રિય રાજકારણમાં ઝુકાવે એવી શક્યતા છે. લાલુ યાદવ પરિવારના નિકટવર્તી અને બિહાર વિધાનસભાના મેમ્બર સુનીલ કુમાર સિંહે રોહિણીને બિહારની સારણ લોકસભા બેઠક પરથી ટિકિટ આપવાની માગણી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરિવારના મુદ્દે ઘેરનારા લાલુ યાદવના પરિવારનાં ત્રણ સંતાન રાજકારણમાં સક્રિય છે, જેમાં પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ તથા પુત્રી મિસા ભારતીનો સમાવેશ છે. રોહિણીને ટિકિટ મળે તો રાજકારણમાં આવનારી એ યાદવ પરિવારની ચોથી મેમ્બર બનશે. તેજસ્વી ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને હાલમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અને RJDના પ્રમુખ છે. તેજ પ્રતાપ વિધાનસભ્ય છે અને મિસા ભારતી રાજ્યસભાની મેમ્બર છે. લાલુ યાદવનાં પત્ની રાબડી દેવી બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે.