ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસુ મિલિંદ નાર્વેકરને ઉતાર્યા એને પગલે સત્તાધારી મહાયુતિનું ટેન્શન વધ્યું
ઉદ્ધવ ઠાકરે જૂથ વતી મિલિંદ નાર્વેકરે ગઈ કાલે ઉમેદવારી નોંધાવી હતી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠકોની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ તેમના વિશ્વાસુ મિલિંદ નાર્વેકરને પણ ઉતારતાં સત્તાધારી મહાયુતિ ટેન્શનમાં મુકાઈ ગઈ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે ગઈ કાલે છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ અને શરદ પવારના સમર્થનથી પોતાનો ઉમેદવાર ઉતારવાથી આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
૧૨ જુલાઈએ યોજાનારી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠકની ચૂંટણી માટે ગઈ કાલે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) વતી ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્વાસુ મિલિંદ નાર્વેકરે ઉમેદવારી નોંધાવી હતી. વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પાસે પૂરતા વિધાનસભ્યો ન હોવા છતાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આથી મહાયુતિના વિધાનસભ્યોના મત ફૂટવાનો ડર ઊભો થયો છે. વિધાન પરિષદના એક સભ્યને ચૂંટવા માટે ૨૩ વિધાનસભ્યોના મત જરૂરી છે. આની સામે કૉન્ગ્રેસ પાસે ૩૭, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) પાસે ૧૩, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) પાસે ૧૫ વિધાનસભ્યો છે જેનું ટોટલ ૬૫ વિધાનસભ્યો થાય છે; જ્યારે તેમના ત્રણેય ઉમેદવારને વિજયી થવા માટે ૬૯ મત જરૂરી છે.
ADVERTISEMENT
આવી જ રીતે સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના કુલ વિધાનસભ્યોની સંખ્યા ૧૮૪ છે અને તેમને સપોર્ટ કરનારા નાના પક્ષો અને અપક્ષ મળીને ટોટલ ૨૦૧ થાય છે. મહાયુતિમાં BJPએ પાંચ તો શિવસેના અને NCPએ બે-બે ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. નવ બેઠક માટે ૨૦૭ વિધાનસભ્યોના મતની જરૂર છે. મહાયુતિએ ૬ મત મેળવવા માથે મથામણ કરવી પડશે.
આ સ્થિતિને જોતાં ત્રણ વર્ષ પહેલાં યોજાયેલી વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)