RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું…
ડૉ. મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં ‘યુગંધર શિવરાય નિયોજન આણિ વ્યવસ્થાપનાચે દીપસ્તંભ’ નામના મરાઠી પુસ્તકનું વિમોચન કર્યું હતું ત્યારે કહ્યું હતું કે ‘ઇસ્લામિક આક્રમણને લીધે ભારત ખતમ થવાની સ્થિતિ હોવા છતાં છત્રપતિ શિવાજી મહારાજે બહાદુરીથી વિદેશી આક્રમણ કરનારાઓ સામે લડીને હિંદવી સ્વરાજની સ્થાપના કરી હતી. તેમણે કરેલા કામને જોઈને જ સંઘના પહેલા ત્રણેય સરસંઘચાલકોએ તેમના સમયમાં કહ્યું હતું કે સંઘ તત્ત્વરૂપે કામ કરે છે અને વ્યક્તિવાદને માનતો ન હોવા છતાં કોઈ સાકાર આદર્શની જરૂર પડે છે. પૌરાણિક કાળમાં હનુમાનજી અને આધુનિક સમયમાં છત્રપતિ શિવાજી મહારાજ સિવાય બીજો કોઈ આદર્શ નથી. આટલા સમય પછી પણ શિવાજી મહારાજ આપણને પ્રેરણા આપી રહ્યા છે અને આપણા આદર્શ છે. આગરાની કેદમાંથી શિવાજી મહારાજ જીવતા પાછા આવશે કે કેમ એવી શંકા હતી ત્યારે તેઓ હેમખેમ પાછા આવ્યા. રાજ્યને ફરી શક્તિવાન બનાવ્યું. તેમના પરાક્રમથી વિદેશી સત્તાનો અંત આવ્યો. બુંદેલખંડ અને રાજસ્થાનને મુગલોથી મુક્ત કરાવ્યાં. શિવાજી મહારાજે ભારતના સતત પરાજયના યુગને બદલ્યો. આ યુગ કાયમ રહે એ માટે શિવાજી મહારાજે જે કરવું પડે એ બધું કર્યું. આથી જ શિવાજી મહારાજ તેમના સમયથી અત્યાર સુધી આપણા આદર્શ છે.’

