જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજા આજે તેમના ૧૦૦મા માસક્ષમણના પચ્ચક્ખાણ લેશે
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ભુવનભાનુસૂરી સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને તેમની સેવામાં સતત હાજર રહેતા મુનિ પદમકળશવિજયજી મહારાજસાહેબ.
૧૮૦ ઉપવાસના ભીષ્મ તપસ્વી અને ૯૯ માસક્ષમણના મહાતપસ્વી પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ તેમની સાધના અને તપે ભગવાન મહાવીરના ૨૫૫૦ વર્ષ પછી પ્રભુની સાડાબાર વર્ષની ઘોર સાધનાને વર્તમાનકાળમાં જૈન સમાજને યાદ અપાવી છે. સતયુગના ધન્ના અણગારની અપ્રમત સાધનાને વર્તમાનકાળમાં, કલયુગમાં પોતાના ૫૭ વર્ષના જીવનકાળમાં ૧૦૦મા માસક્ષમણનો આજે ઘાટકોપરમાં પ્રારંભ કરીને તેઓ વિશ્વની એક જીવંત અજાયબીનું સર્જન કરશે. જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આજે સવારે ઘાટકોપર-વેસ્ટમાં આવેલા શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના નેજા હેઠળ પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિ સેંકડો આચાર્યો, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓની પાવન નિશ્રામાં શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના મુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરીને ૧૦૦મા માસક્ષમણનો પ્રારંભ કરશે.