નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મીરા-ભાઈંદરના કમિશનર યોજનાની સફળતા વિશે સ્પીચ આપશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારની નીતિ આયોગની ઑન્ટ્રપ્રનરશિપના માધ્યમથી મહિલાઓનો વિકાસ કરવાની યોજના અંતર્ગત મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ગયા વર્ષે ફરાળ સખી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં મહિલાઓને ઘરે વિવિધ પ્રકારનાં ફરાળ બનાવવાની, એનું બ્રૅન્ડિંગ કરવાની, માર્કેટિંગ કરવાની અને ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ કરવાની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. પચીસ મહિલાને ટ્રેઇનિંગ આપવામાં આવ્યા બાદ તેમણે ગઈ દિવાળીએ સારું કામ કરીને અનેક મહિલાઓને રોજગાર પૂરો પાડ્યો હતો. પચીસ મહિલામાંથી નીતિ આયોગે અવૉર્ડ ટુ રિવૉર્ડ માટે આઠ મહિલાઓની પસંદગી કરી છે. આ મહિલાઓને દિલ્હીમાં બોલાવવામાં આવી છે અને તેમને આજે સન્માનિત કરવામાં આવશે.
મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની યોજનાની યોગ્ય રીતે અમલબજાવણી કરવા બદલ નીતિ આયોગે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર રાધાબિનોદ શર્માને પણ દિલ્હીમાં યોજનાને સફળ બનાવવા બાબતે સ્પીચ આપવાનું આમંત્રણ આપ્યું હતું. આથી તેઓ પણ આઠ મહિલા સાથે દિલ્હીમાં નીતિ આયોગના ચાર વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં સામેલ થશે.

