નવ લોકો સામે હત્યાનો કેસ નોંધાયો, પાંચ જણની અટક
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં મોબાઇલ ફોન ચોરીને ભાગી રહેલા ચોરને ભેગા થયેલા ટોળાએ પકડીને એટલો માર્યો હતો કે તેનો જીવ જતો રહ્યો હતો. ગઈ કાલે સવારે નાલાસોપારા-ઈસ્ટમાં બનેલી આ ઘટનામાં પેલ્હાર પોલીસે ૯ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.
નાલાસોપારામાં આવેલા સંતોષ ભુવન વિસ્તારમાં રહેતા અજય મિશ્રા નામના યુવકના ઘરમાં ગઈ કાલે સવારે ચોરી થઈ હતી. કોઈ ચોર વિન્ડો પાસે રાખેલો મોબાઇલ ફોન ચોરીને નાસી રહ્યો હતો. આ ચોરને એ વિસ્તારમાં લોકો શોધી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોના ટોળાએ વાલઈપાડામાં ચોરને પકડી લીધો હતો. તેની તપાસ કરતાં તેની પાસેથી ચોરીનો મોબાઇલ મળી આવ્યો હતો. ટોળાએ તેને બામ્બુ અને લાતો વડે ઢોરમાર માર્યો હતો. આ મારમાં તે બેભાન થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેને વિજયનગરમાં આવેલી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
મૃત્યુ પામેલા ચોરની ઓળખ ૨૩ વર્ષના અભિષેક સોની તરીકે થઈ છે. અભિષેક રીઢો ગુનેગાર છે અને તેની સામે કુલ ૬ કેસ નોંધાયા છે. ઘરમાં ચોરીના ચાર અને નશાના સેવનના બે કેસ તેની સામે છે. આ કેસમાં પ્રાથમિક તપાસમાં ૯ લોકો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. એમાંથી પાંચ જણને તાબામાં લેવામાં આવ્યા છે.