દરેક ચૂંટણીમાં વિધાનસભ્યોનાં પત્તાં કટ કરવાની પક્ષની નીતિ રહી છે એટલે અનેક વિધાનસભ્યોને ફરી ચાન્સ મળશે કે કેમ એવી ચર્ચા
નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે અને અત્યારે સત્તાધારી અને વિરોધી પક્ષના સંગઠન મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી અને ટિકિટની ફાળવણી અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્યમાં ૧૦૩ વિધાનસભ્ય સાથે સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એની ચૂંટણીની નીતિ અને પરંપરા મુજબ ૩૦ ટકા વિધાનસભ્યોની ટિકિટ કાપીને ઘરે બેસાડી શકે છે એવી ચર્ચા શરૂ થઈ છે. આમાં મુંબઈના પાંચ વિધાનસભ્યોનાં નામ હોવાનું પણ કહેવાય છે.
સૂત્રો મુજબ ગુરુવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ સાથેની ચારેક કલાકની બેઠક બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJP ૧૬૦ બેઠકો પર ચૂંટણી લડશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાંથી ૧૧૦ ઉમેદવારોનાં નામ ફાઇનલ કરવામાં આવ્યાં હતાં. આ લિસ્ટમાં ૩૦ ટકા વિધાનસભ્યોનાં નામ ન હોવાનું કહેવાય છે. જ્યાં અત્યારે BJPના વિધાનસભ્ય નથી એવી બેઠકોમાં એક-બે નામ પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે. પાર્ટી ટૂંક સમયમાં પહેલું લિસ્ટ જાહેર કરશે ત્યારે ખ્યાલ આવી જશે કે કોને કાપવામાં આવ્યા છે અને કોને ફરી મોકો આપવામાં આવ્યો છે.