બૅન્કની ફરિયાદ હતી કે જેટ ઍરવેઝે ૮૪૮.૮૬ કરોડ રૂપિયાની લોન લઈને ક્રેડિટ લિમિટ વટાવી હતી
તસવીર : અતુલ કાંબળે
કૅનેરા બૅન્કની ફરિયાદના આધારે ૫૩૮ કરોડ રૂપિયાના બૅન્ક ફ્રૉડમાં પીએમએલએ કોર્ટે જેટ ઍરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલને ૧૧ સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. કેન્દ્રની એજન્સીએ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ શુક્રવારે સવાલોના લાંબા સેશન બાદ નરેશ ગોયલની ધરપકડ કરી હતી. સીબીઆઇએ આ મની લૉન્ડરિંગ કેસ જેટ ઍરવેઝના નરેશ ગોયલ, તેમની પત્ની અને અન્ય એક્ઝિક્યુટિવ વિરુદ્ધ એફઆઇઆર પરથી દાખલ કર્યો હતો. બૅન્કની ફરિયાદ હતી કે જેટ ઍરવેઝે ૮૪૮.૮૬ કરોડ રૂપિયાની લોન લઈને ક્રેડિટ લિમિટ વટાવી હતી, જેમાંથી ૫૩૮.૬૨ કરોડ રૂપિયા બાકી નીકળતા હતા. આના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. જેટ ઍરવેઝે એની પેટા-કંપનીને ફન્ડ ડાઇવર્ટ કર્યું હતું.