તેઓ કૉલિક નામની બીમારીથી મૃત્યુ પામ્યા. ૨૦૧૮માં કુલ ૩૦ ઘોડાઓ મગાવવામાં આવ્યા હતા
તસવીર સૌજન્ય મિડ-ડે
બીચ પૅટ્રોલિંગ માટે મુંબઈ પોલીસના માઉન્ટેડ પોલીસ યુનિટે જાન્યુઆરી, ૨૦૨૦માં ૧૩ ઘોડાઓ મેળવ્યા હતા જેમાંના ચાર ઘોડાઓનું ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલના રોગથી મૃત્યુ થયું છે. કૉલિક નામે ઓળખાતો આ રોગ ગૅસ થવો, ઇન્ફેક્શન, વધારે પડતું ખાઈ લેવું અને રેતી ખાવાથી થાય છે.
પોલીસે બીચનું પૅટ્રોલિંગ કરી રહેલા મુંબઈ પોલીસ યુનિટને કહ્યું હતું કે ૧૩ ઘોડાઓમાં સાત અરેબિક અને છ ભારતીય ઘોડા છે. સાત અરેબિક ઘોડામાંથી ચાર પદ્મકોશા, શિવાલિક સ્કાઇઝ, ડિવાઇન સૉલિટેર તથા બ્રિકવિક કૉલિકને કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે કે અન્ય માંદા ભારતીય ઘોડાને રિયાટર કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ કમિશનર સુબોધ કુમાર જયસ્વાલે ૨૦૧૮માં ૧.૫ કરોડ રૂપિયાને ખર્ચે ૩૦ ઘોડા મેળવવાની દરખાસ્ત રજૂ કરી હતી.
આ ઘોડાઓ માટે મુંબઈ પોલીસે મરોલમાં તબેલો તૈયાર કર્યો હતો તથા તેમને તાલીમ પણ આપી હતી. પૅટ્રોલિંગના કામ માટે જુહુ અને ગિરગામ બીચ પર લઈ જવા તબેલાની બહાર હંમેશાં ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવતી હતી.
ઍમ્બ્યુલન્સમાં તેમના માટે ખોરાક અને પાણી પણ લઈ જવાતાં હતાં. તબેલામાં ડૉક્ટર અને દવાઓ ઉપલબ્ધ રહેતા હતા. વધુમાં પરેલના પશુચિકિત્સાલયના ડૉક્ટર અને મુંબઈ રેસકોર્સ ઘોડાની તબિયત વિશે પરસ્પર સંપર્કમાં રહેતા હતા.
પરેલ પશુચિકિત્સા હૉસ્પિટલના ડૉક્ટર લોખંડેએ કહ્યું હતું કે ‘કૉલિક એક પ્રકારની પેટની બીમારીને કારણે થાય છે, જે અપચાને લીધે થાય છે. આના અનેક પ્રકાર છે. જો ઘોડો ઓછું ખાય કે વધારે ખાય તો પણ આ રોગ થઈ શકે છે. કેટલીક વાર પેટમાં ગૅસ થાય છે. જેના કારણે પેટમાં શૂળ ઊઠે છે. ઘોડાઓમાં કૉલિક સામાન્ય બીમારી છે. પરંતુ આ કેસમાં બીમારીની જાણ મોડી થતાં ઇલાજમાં પણ વિલંબ થયો હતો. સર્જરી પણ કરી શકાય છે પરંતુ એ હંમેશાં સફળ નથી રહેતી.’
આ રોગનો ઇલાજ કોઈ દવા નહીં પરંતુ સર્જરી છે. જોકે ઑપરેશન પછી પણ કેટલીક તકલીફ રહે છે.

