પતિ-પત્ની અને બે પુત્રના મૃતદેહ મળી આવતાં મચ્યો ખળભળાટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાગપુરના નરખેડ તાલુકામાં આવેલા મોવાડ ગામમાં ગઈ કાલે એક જ પરિવારના ચાર વ્યક્તિના મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. પોલીસે જણાવ્યા મુજબ મોવાડ ગામના એક ઘરમાંથી ૬૮ વર્ષના વિજય પચોરી, તેમનાં ૫૫ વર્ષનાં પત્ની માલાબાઈ, ૩૮ વર્ષના પુત્ર દીપક અને ૩૬ વર્ષના બીજા પુત્ર ગણેશના મૃતદેહ મળી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ-ટીમ ફૉરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ચારેચાર મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા હતા. એક જ ઘરમાંથી ચાર જણના એકસાથે મૃતદેહ મળવાથી ગામના લોકોની સાથે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આ સામૂહિક આત્મહત્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જોકે આ મામલાની તપાસ કરાયા બાદ જ આ પગલું ભરવાનું સાચું કારણ જાણી શકાશે.