હવે થાણે, મીરા-ભાઈંદર અને મુંબઈનાં ગેરકાયદે બાર-પબ પર બુલડોઝર ફરી રહ્યાં છે
ગઈ કાલે થાણેમાં એક ગેરકાયદે બારને તોડી પાડવામાં આવ્યો હતો
પુણેના પોર્શે-કાંડ બાદ સગીર યુવાનો બાર અને પબમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા હોવાનું જણાઈ આવતાં પુણેમાં કડક કાર્યવાહી કરવાનું શરૂ થયું છે અને હવે એ થાણે, મીરા-ભાઈંદર અને મુંબઈ સુધી પહોંચી છે. હવે અહીં પણ બુલડોઝર ફરી રહ્યાં છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ આ બાબતે થાણે અને મીરા-ભાઈંદરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ-કમિશનરને થાણે અને મીરા-ભાઈંદરને ડ્રગ્સમુક્ત કરવા ગેરકાયદે પબ અને બાર પર કાર્યવાહી કરવાનો તથા ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને એમને ડિમોલિશ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. ડ્રગ્સને કારણે યુવાનોને મોટું નુકસાન થાય છે એટલે એને રોકવું જરૂરી હોવાથી કડક પગલાં લેવાનું તથા શહેરોને ડ્રગ્સમુક્ત કરવાં જરૂરી હોય એ બધાં જ પગલાં લેવાનું પણ તેમણે કહ્યું છે.
ADVERTISEMENT
થાણેમાં મૉડેલા ચેકનાકા, એલબીએસ રોડ, ઘોડબંદર રોડ પર ચિતલસર, માનપાડા, કાપુરબાવડી, કાસરવડવલીમાં બાર અને પબમાં કરાયેલાં ગેરકાયદે બાંધકામો થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. એ વખતે કોઈ વિરોધ ન થાય અને સમસ્યા ન સર્જાય એ માટે TMCના ઑફિસર અને પોલીસ ઑફિસર ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને તેમની દોરવણી હેઠળ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મીરા-ભાઈંદરમાં પણ MTNL રોડ પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)