Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગેરકાયદે ફેરિયાઓના મામલે અદાલતનો આક્રોશ ચરમસીમાએ

ગેરકાયદે ફેરિયાઓના મામલે અદાલતનો આક્રોશ ચરમસીમાએ

23 July, 2024 08:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકાર, BMC અને પોલીસની જબરદસ્ત ઝાટકણી કાઢી નાખી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે પગલાં લેવામાં ઊણી ઊતરેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસને ખખડાવતાં ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘ગેરકાયદે ફેરિયાઓને હટાવવામાં આખા રાજ્યની યંત્રણા પડી ભાંગી છે અને એનો ઉકેલ લાવવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. શું હવે તમે ગેરકાયદે ફેરિયાઓને મંત્રાલય અને ગવર્નરના ઘર સામે બેસવા દેશો?’


કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદે ફેરિયાઓની સમસ્યા કાયમની છે, તમારે એનો ઉકેલ લાવવો જ પડશે, તમે એમ ન કહી શકો કે અમે હેલ્પલેસ છીએ.



બોરીવલીના એક દુકાનદારે તેની દુકાન સામે ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે ૨૦૨૨માં કરેલી યાચિકાની સુનાવણી કરતી વખતે કોર્ટે સામે ચાલીને આ મુદ્દાની નોંધ લીધી અને આખા શહેરમાં શું પરિસ્થિતિ છે એની સુનાવણી હાથ ધરી હતી. ત્યારથી કોર્ટ રાજ્ય સરકાર, BMC અને પોલીસ ગેરકાયદે ફેરિયાઓની સમસ્યા બાબતે શું પગલાં લઈ રહી છે એના પર નજર રાખી રહી છે.  


કોર્ટે ગયા મહિને BMC અને પોલીસને તેમણે આ બાબતે શું પગલાં ભર્યાં એની વિગતો આપવા ઍફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. જોકે ગઈ કાલે BMCના વકીલ અનિલ સિંહ અને રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતાં વકીલ પૂર્ણિમા કંથારિયાએ ઍફિડેવિટ ફાઇલ કરવા વધુ સમય માગ્યો હતો.  

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એમ. એસ. સોનક અને જસ્ટિસ કમલ ખતાએ આ સંદર્ભે નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે ‘તમે શું ઇચ્છો છો કે રોજ લોકો અહીં કોર્ટમાં આવીને બેસે? આ તો લોકોની હેરાનગતિ છે. કાયદા જેવું કંઈ રહ્યું જ નથી. સુધરાઈ લોકોની ફરિયાદ  ગણકારતી નથી, પોલીસ પણ જોતી નથી, તો કૉમનમૅન કરે તો શું કરે? આ ગંભીર બાબત છે અને ઍફિડેવિટ ન દાખલ કરવા માટે તમે કારણો આપશો એ નહીં ચાલે. જો તમે આ ન કરી શકતા હો તો તમારી ઑફિસ બંધ કરી દો, નહીં તો પછી કોર્ટ બંધ કરી દો. રોજ જ ફેરિયાઓ તેમનો પથારો પાથરીને બેસી જાય છે. તમને શું લાગે છે? દુકાનદારોએ રોજ કોર્ટમાં આવીને ફરિયાદ કરવાની કે પછી પોતાની દુકાનની બહાર ગન સાથેના સિક્યૉરિટી ગાર્ડ્સ ઊભા રાખવાના? આ બાબતે પોલીસ શું કરે છે એ અમારે જાણવું છે. તમે એમ કહો છો કે પોલીસ આ ગેરકાયદે ફેરિયાઓને દૂર નથી કરી શકતી, તો શું હવે તેમને હટાવવા સૈન્ય બોલાવવું પડશે?’


ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે અમને આનો જવાબ જોઈએ, આને આમને આમ ન રાખી શકાય.

જસ્ટિસ સોનકે કહ્યું હતું કે ‘સરકારની યંત્રણા બરાબર કામ નથી કરી રહી. તમે કાયદાનું પાલન થાય અને ફેરિયાઓ ન બેસે એ માટે ટેસ્ટ-કેસ તરીકે પહેલા પાંચ એરિયામાં તમારી યોજનાનો અમલ કરો.’

કોર્ટે કેસની હવે પછીની સુનાવણી ૩૦ જુલાઈ પર રાખી છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK