મે મહિનામાં પણ તેમણે જામીનઅરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી
સચિન વાઝે
ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયા પાસે એક્સપ્લોઝિવ રાખવાના કેસ અને મનસુખ હિરણ હત્યાકેસ તેમ જ એ પછી અનિલ દેશમુખને સંડોવતા ૧૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા વિવાદિત અને હાલ સસ્પેન્ડ કરી દેવાયેલા પોલીસ ઑફિસર સચિન વાઝે છેલ્લાં બે વર્ષથી જેલમાં છે. હવે ભ્રષ્ટાચારના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારના કેસમાં સંડાવાયેલા અનિલ દેશમુખ અને અન્ય આરોપીઓને કોર્ટે પહેલાં જ જામીન આપી દીધા હતા, પણ સચિન વાઝેને જામીન આપવામાં આવ્યા નહોતા. આ જ કેસમાં CBI કોર્ટે સચિન વાઝેને ગયા વર્ષે જ જામીન મંજૂર કર્યા હતા, પણ તેમની સામે બે કેસ પેન્ડિંગ હોવાથી એ વખતે જામીન નકારવામાં આવ્યા હતા. એથી તેમનો જેલવાસ લંબાઈ ગયો હતો. મે મહિનામાં પણ તેમણે જામીનઅરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. હવે તેમની જામીનઅરજી મંજૂર કરવામાં આવી છે.