૧૭ ઝૂંપડાં અને દુકાનોના માલિકો બીજે સ્થળાંતરિત થવા માની ગયા
અપૂર્ણ કાલિના-BKC રોડ પરથી પસાર થતી કાર અને આ ઘરોને ડિમોલિશન કરીને રસ્તો પૂર્ણ કરવામાં આવશે. (તસવીરો : અનુરાગ અહિરે)
કાલિના - બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ને જોડતા રોડનો પ્રોજેક્ટ ત્રણ વર્ષથી અટકી પડ્યો હતો, પણ આ રસ્તામાં આવતા ૧૭ ઝૂંપડાવાસી અને દુકાનોના માલિકો બીજા સ્થળે સ્થળાંતરિત થવા રાજી થયા હોવાથી આખો રસ્તો ટૂંક સમયમાં વાહનધારકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે અને એથી મોટરિસ્ટો બેથી ત્રણ મિનિટમાં કાલિનાથી BKC પહોંચી શકશે. આ કનેક્ટર રોડનું ૯૦ ટકા કામકાજ ત્રણ વર્ષ પહેલાં પૂરું થયું હતું, પણ પચીસ મીટરના પરિસરમાં કામ અટક્યું હતું. વૉચમૅન ચાલ તરીકે ઓળખાતી વસ્તીના રહેવાસીઓ અહીંથી જવા તૈયાર નહોતા, તેમણે કોર્ટમાં કેસ પણ કર્યો હતો. તેમને મુંબઈમાં કુર્લા સહિત ઘણાં સ્થળે રીલોકેશનની ઑફર અપાઈ હતી, પણ થોડા દિવસ પહેલાં તેઓ વેસ્ટર્ન સબર્બમાં જવા માટે રાજી થયા હતા. થોડા દિવસ પહેલાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ રસ્તો વાહનધારકો માટે આંશિક રીતે ખુલ્લો મૂક્યો હતો. એક વાર સંપૂર્ણ રીતે ખુલ્લો મુકાયા બાદ આ કનેક્ટર મોટરિસ્ટોની પંદરથી ૨૦ મિનિટની બચત કરાવશે.