મુંબઈમાં પોલીસની કિલ્લેબંધી: ૨૮ ઑગસ્ટ સુધી રહેશે ચુસ્ત બંદોબસ્ત
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલથી પોલીસની કિલ્લેબંધી શરૂ થઈ ગઈ છે, જે ૨૮ ઑગસ્ટ સુધી રહેશે. બદલાપુરમાં સ્કૂલની બે બાળકીના વિનયભંગની ઘટનાને પગલે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. એ ઉપરાંત કૃષ્ણોત્સવ, દહીહંડી અને શિયા મુસ્લિમોનો તહેવાર ચેહલમ ૨૬ ઑગસ્ટે છે એને ધ્યાનમાં રાખીને ગઈ કાલે સવારથી મુંબઈનાં મહત્ત્વનાં સ્થળોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોના નિવાસસ્થાનની બહાર પણ મોટા પ્રમાણમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ૨૮ ઑગસ્ટ સુધીના દિવસો મુંબઈ માટે મહત્ત્વના છે એટલે કોઈ અપ્રિય ઘટના ન બને એને ધ્યાનમાં રાખીને શહેરની દરેક ગલી અને ચોકમાં પોલીસનો પહેરો ગોઠવી દેવાની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસને અલર્ટ મોડ પર રાખવાની સાથે ઠેર-ઠેર નાકાબંદી અને ગુનેગારોને શોધવા માટેની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. આ બંદોબસ્તમાં મુંબઈ પોલીસની સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ, ક્વિક રિસ્પૉન્સ ટીમ, રાયટ્સ કન્ટ્રોલ યુનિટોને પણ કેટલીક જગ્યાએ તહેનાત કરવામાં આવ્યાં છે.