હાલ અમે તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર કાસરવડવલી પોલીસની હદમાં આવેલા દેવસિદ્ધિ બિલ્ડિંગમાં એકલાં જ રહેતાં ૬૫ વર્ષનાં સાવિત્રી કનોડિયાનો મૃતદેહ તેમના ઘરમાંથી ગઈ કાલે કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજિસ્ટર કરીને વધુ કાર્યવાહી કરી હતી.
કાસરવડવલી પોલીસ-સ્ટેશનના આ કેસના તપાસ અધિકારી અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મનીષ પોટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાવિત્રી કનોડિયાનો દીકરો જયપુર રહે છે. તે તેની મમ્મીને બે દિવસથી ફોન કરતો હતો, પણ મમ્મી ફોન ઉપાડી નહોતી રહી. એથી તેણે આખરે સોસાયટીના વૉચમૅનને ફોન કરીને તપાસ કરવા કહ્યું હતું. વૉચમૅને ફ્લૅટ પાસે જઈને તપાસ કરી તો ફ્લૅટ અંદરથી બંધ હતો, પણ એમાંથી દુર્ગંધ આવી રહી હતી. એથી એની જાણ પોલીસને, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને અને ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે જઈ રૂમનો દરવાજો તોડીને તપાસ કરતાં સાવિત્રી કનોડિયા મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. એ પછી તેમના દીકરાને પણ એ વિશે જાણ કરવામાં આવી હતી એટલે તે મુંબઈ આવવા નીકળી ગયો હતો. સાવિત્રી કનોડિયા તેમના દીકરા પાસે જતાં-આવતાં રહેતાં હતાં. હાલ અમે તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.’