આ વર્ષે વિશ્વ શ્રમ નિષેધ દિવસનો વિષય ‘તમામ માટે સામાજિક ન્યાય, બાળ મજૂરીનો અંત’ નક્કી કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
માનવ સમાજમાં સૌને તેમના યોગ્ય અને સંપૂર્ણ અધિકારો મળે તે ખૂબ જ જરૂરી બાબત છે. બાળકો પણ તેમના અધિકારોથી વંચિત ન રહે, તે પણ ખૂબ જ આવશ્યક છે. બાળકોને યોગ્ય ઉછેર અને અધિકારો મળી રહે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પરંતુ કમનસીબે વિશ્વના ઘણા વિસ્તારોમાં હજુ પણ બાળ મજૂરી ચાલી રહી છે.
બાળમજૂરીને સમાપ્ત કરવા માટે દર વર્ષની 12મી જૂને વિશ્વ બાળ મજૂરી નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ દિવસ વિશ્વમાં બાળ મજૂરીને દૂર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના તમામ પ્રયાસોને મજબૂત કરવાની તક છે.
ADVERTISEMENT
આ વર્ષે વિશ્વ શ્રમ નિષેધ દિવસનો વિષય ‘તમામ માટે સામાજિક ન્યાય, બાળ મજૂરીનો અંત’ નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દાયકામાં બાળ મજૂરીને નાબૂદ કરવાના પ્રયત્નોએ સાબિત કર્યું છે કે મૂળ કારણને સમજ્યા વિના તેને દૂર કરી શકાતું નથી.યુએનની વેબસાઈટ મુજબ આ ફેરફાર 2023માં લાવી શકાય છે અને આ માટે લોકોએ એક થઈને તેને સંગઠિત કરીને તેના આયોજન દ્વારા થઈ રહેલા પ્રયાસોને ઝડપી બનાવવાની જરૂર છે. બાળકો ઉપર દબાણ લાદતી મોટાભાગની જગ્યાઓ અને અન્ય સામાજિક સમસ્યાઓ મજૂરીને કારણે પેદા થાય છે. સામાજિક ન્યાય દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે.
આ સૌના મૂળમાં ગરીબી છે. જો ગરીબી દૂર થશે તો ઘણા પરિવારોમાં બાળકોને કામ કરવાની જરૂર જ નહીં પડે અને બાળમજૂરીની સમસ્યા મોટે અંશે ઓછી થશે. પરંતુ અહીં શિક્ષણનું એક પાસું પણ જોવા જેવું છે. જો લોકો અને સમાજ યોગ્ય રીતે શિક્ષિત હશે, તો લોકો સમજી શકશે કે બાળ મજૂરી એક અભિશાપ છે. અને ઘણી જગ્યાએ બાળ મજૂરીને સમસ્યા માનવામાં આવતી નથી તે માનસિકતા પણ બદલાઈ શકાશે.
આ ઉપરાંત સામાજિક અસમાનતા, આર્થિક અને અન્ય ભેદભાવ વગેરે બાળમજૂરીને બંધ થવા દેતાં નથી. આ માટે કડક કાયદાઓની જરૂર છે અને દેશની સરકાર તરફથી મજબૂત અને નક્કર પ્રયાસોની જરૂર છે. એટલું જરૂર કહી શકીએ કે, યોગ્ય સામાજિક વાતાવરણ જ આ સમસ્યાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવી શકે છે.
વિશ્વભરમાં 160 મિલિયન બાળકો હજી પણ બાળ મજૂરીની જાળમાં ફસાયેલા છે. જેમાંથી કેટલાક તો પાંચ વર્ષથી પણ નાના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000થી 2020ની વચ્ચે બાળમજૂરોની સંખ્યા 16 ટકાથી ઘટીને 9.5 ટકા થઈ ગઈ છે. આ 20 વર્ષના સમયગાળામાં આ સંખ્યામાં 8.55 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે. આજે પણ વિશ્વના લગભગ ત્રણ ચતુર્થાંશ બાળકો એટલે કે 1.5 અબજ બાળકો સામાજિક સુરક્ષાના અભાવમાં જીવી રહ્યા છે. કમનસીબે વિશ્વની 1.1 ટકાથી પણ ઓછી જીડીપી બાળકોની સામાજિક સુરક્ષા પાછળ ખર્ચાય છે.
આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ પાકિસ્તાનમાં જતી રહી
નીતિ નિર્માતાઓએ ખાસ સમજવું જોઈએ કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને યોગ્ય શિક્ષણનું વાતાવરણ આપવું એ સૌથી મહત્વપૂર્ણ રોકાણ છે. જેમાં બાળ મજૂરીને નાબૂદ કરવી એ પ્રાથમિકતાનો વિષય બની રહેવો જોઈએ. શિક્ષણ એ સામાજિક ન્યાય માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે અને બાળ મજૂરીને નાબૂદ કરવા માટે દરેક સ્તરે કામ થવું જરૂરી છે.