મેડિકલ કૅમ્પ શરૂ કર્યા, પૂરના પાણીમાં પલળી ગયેલી સ્કૂલ-સ્ટેશનરી પણ આપશે સ્ટુડન્ટ્સને
વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની હૉસ્પિટલ દ્વારા યોજાયેલા મેડિકલ કૅમ્પમાં સારવાર આપી રહેલો મેડિકલ સ્ટાફ.
મધ્ય ગુજરાતના વડોદરામાં તાજેતરમાં વિશ્વામિત્રી નદીના પૂરે સર્જેલી તારાજીના કારણે શહેરના વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષે નવરાત્રિમાં યોજાતા ગરબામાં તેમનું ફન્ડ નહીં આપે, પણ એ ફન્ડ વડોદરાના અસરગ્રસ્ત લોકોની પાછળ વાપરવાનો નિર્ણય કરીને મેડિકલ કૅમ્પ શરૂ કર્યા છે.
વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની હૉસ્પિટલ આવેલી છે. આ સંસ્થા સમાજ માટે તેમની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા આગળ આવી છે. સંસ્થા વડોદરામાં નવરાત્રિ દરમ્યાન યોજાતા ગરબા ઑર્ગેનાઇઝ પણ કરે છે અને ગરબાના કાર્યક્રમ માટે ફન્ડ પણ આપે છે, પરંતુ આ વખતે વડોદરાની પરિસ્થિતિ જોઈને સંસ્થા ગરબા પાછળ જે ફન્ડ વાપરે છે એનો સદુપયોગ કરતાં વડોદરાના પૂરથી અસરગ્રસ્ત નાગરિકો પાછળ વાપરવાનો નિર્ણય કરીને શહેરમાં પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ-પૅકેટ્સ પહોંચાડ્યાં એ પછી હવે નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ શરૂ કર્યા છે. આ ઉપરાંત પૂરના પાણીમાં જે બાળકોનાં નોટબુક-પુસ્તકો સહિતની સ્ટેશનરી પલળી ગઈ છે તેવા સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશન કીટ તૈયાર કરીને આપશે. બાળકોને નોટબુક, પુસ્તકો અને સ્કૂલ-બૅગ પણ આપવામાં આવશે.