ગુજરાત, પાકિસ્તાન, ફરી ગુજરાત અને એ પછી ગુજરાતમાં અલગ-અલગ વિસ્તાર. બિપરજૉયની ચાલને કારણે જબરદસ્ત મૂંઝવણ રહી અને અંતિમ તબક્કા સુધી નક્કી પણ ન થયું કે એનું લૅન્ડફૉલ ક્યાં થવાનું છે
કચ્છ જિલ્લામાં ગઈ કાલે બિપરજૉયના આગમન પહેલાં જખૌ ખાતે ભારે વરસાદ પડ્યો હતો. તસવીર પી.ટી.આઇ.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજૉય સાઇક્લોન અત્યારે પ્રતિ કલાક ૧૨ કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હવે નિશ્ચિત થઈ ગયું છે કે એ ગુજરાતના કાંઠે અથડાશે, પણ ગયા અઠવાડિયે થોડા સમય પૂરતી એવી સંભાવના ઊભી થઈ હતી કે બિપરજૉય ગુજરાતને બદલે પાકિસ્તાનમાં દાખલ થશે, પણ છેલ્લા ત્રણ દિવસમાં પિક્ચર બદલાઈ ગયું. જોકે એ પછી પણ બિપરજૉયના લૅન્ડફૉલ માટેનાં લોકેશન દર ૧૨ કલાકે બદલાયાં. આવું થવા પાછળનું કારણ સમજાવતાં ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે ‘દરેક વાવાઝોડાની પોતાની ચાલ હોય છે. આ જે બિપરજૉય છે એની ચાલ સર્પાકાર છે. નાગ ક્યારેય સીધો ન ચાલે, એ પાણીના વલયની જેમ ચાલે. બિપરજૉયની ચાલ પણ એવી હોવાને લીધે વારંવાર એ ક્યાં આવશે એ સ્થળ બદલાયું.’
પહેલાં ગુજરાત તરફ અને એ પછી પાકિસ્તાન તરફ. ત્યાર પછી ફરી ગુજરાત તરફ અને ગુજરાતમાં પણ બિપરજૉયનાં ત્રણ લોકેશન આવ્યાં. પોતાની સર્પાકાર ચાલને કારણે એણે સૌથી પહેલાં એવી ઇમ્પ્રેશન ઊભી કરી કે એ પોરબંદર આવશે, ત્યાર પછી દ્વારકા અને એ પછી પોરબંદરના કંડલા બંદરની ચાલ દર્શાવી અને હવે જ્યારે એ દ્વારકાથી ૨૭૦ કિલોમીટર દૂર છે ત્યારે બિપરજૉયની ચાલ એ પ્રકારની છે કે કચ્છના જખૌમાં એનું લૅન્ડફૉલ થશે.