અનંતમાં નામ મુજબ જ અપાર કૅપેસિટી છે, મને તેનામાં મારા પપ્પા ધીરુભાઈ દેખાય છે : મુકેશ અંબાણી; રાધિકાને જોઉં છું ત્યારે મારા દિલમાં ભૂકંપ અને સુનામી આવી જાય છે : અનંત અંબાણી; રાધિકા - અનંત... યે તો રબ ને બના દી જોડી : મુકેશ અંબાણી
શુક્રવારની રાત્રે જામનગરના જલસામાં આખો અંબાણી પરિવાર એકસાથે
જામનગરમાં ચાલી રહેલા પ્રી-વેડિંગ ફંક્શનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅને કહ્યું કે આ અવિસ્મરણીય ઉત્સવની દરેકેદરેક ઇવેન્ટ નીતાની પરિકલ્પના છે, મહિનાઓ સુધી એકલા હાથે થાક્યા વિના આ બધું કરવાની તેનામાં એનર્જી આવે છે ક્યાંથી એ મને નથી સમજાતું
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં મુકેશ અંબાણીએ ઇમોશનલ સ્પીચમાં પુત્ર અનંતને પિતા ધીરુભાઈ અંબાણી સાથે સરખાવીને કહ્યું હતું કે અનંતમાં મને મારા પપ્પા ધીરુભાઈ દેખાય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅને કહ્યું હતું કે ‘અનંત અને રાધિકા જીવનભરના સંગાથની સફર શરૂ કરી રહ્યાં છે ત્યારે તમારા આશીર્વાદથી તેમના જીવનમાં સદનસીબની ભરમાર રહેશે અને એની વિપુલતામાં ક્યારેય ઘટાડો નહીં થાય. આજે મારા પપ્પા પણ સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા હશે. મને ખાતરી છે કે તેઓ આજે બહુ જ ખુશ હશે, કારણ કે આજે અમે તેમના ફેવરિટ પૌત્ર અનંતના જીવનનો ખુશીનો દિવસ જામનગરમાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ. જામનગર મારી અને મારા પપ્પાની કર્મભૂમિ છે. આ એ જગ્યા છે જ્યાં અમને અમારું મિશન, પૅશન અને પર્પઝ મળ્યાં હતાં. ૩૦ વર્ષ પહેલાં આ વેરાન સ્થળ હતું, પણ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ધીરુભાઈનું સાકાર થયેલું સપનું છે. જામનગરમાં તમને નવા ભારતનાં દર્શન થશે જે વાઇબ્રન્ટ હોવા ઉપરાંત આશાવાદી અને સ્વાભિમાનથી છલોછલ છે.’
ADVERTISEMENT
રાધિકા સાથે નીતા અને મુકેશ અંબાણી
પોતાના પુત્ર અને ભાવિ પુત્રવધૂ વિશે તેમણે કહ્યું હતું કે ‘અનંત એટલે અપાર, અંત વિનાનું. મને અનંતમાં પણ તેના નામ મુજબ જ અપાર કૅપેસિટી દેખાય છે. મને તેનામાં મારા પપ્પા ધીરુભાઈ દેખાય છે. તેમની જેમ જ અનંતમાં પણ હું કરી શકું છું, હું કરી લઈશ, મારા માટે કંઈ અશક્ય નથી એવો ઍટિટ્યુડ છે. રાધિકામાં તેને સૌથી સુયોગ્ય પાર્ટનર મળી છે. તેનામાં (રાધિકામાં) અકલ્પનીય ક્રીએટિવ એનર્જી ભરેલી છે. જોકે એની સાથે તે પ્રેમાળ અને કાળજી રાખનારી વ્યક્તિ છે. આમ પણ રાધિકા નામ તો કૃષ્ણની સૌથી પ્રિય પત્નીનું હતું. રાધિકા અને અનંત... યે તો રબને બના દી જોડી.’
ત્યાર બાદ તેમણે પત્ની નીતા અંબાણીનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘ત્રણ દિવસના આ અવિસ્મરણીય ઉત્સવની દરેકેદરેક ઇવેન્ટ નીતાની પરિકલ્પના છે. તેણે એકલા હાથે જરા પણ થાક્યા વિના મહિનાઓ સુધી મહેનત કરીને એને આજે આપણી સમક્ષ મૂકી છે. તેની સાથે લાઇફ-પાર્ટનર તરીકે ચાર દાયકા વિતાવ્યા બાદ પણ મને એ નથી સમજાતું કે તેનામાં આટલી એનર્જી આવે છે ક્યાંથી?’
ઈશા અંબાણી તેનાં ટ્વિન્સ સાથે
અનંતની સ્પીચ સાંભળીને જ્યારે પપ્પા મુકેશ અંબાણીની આંખ ભરાઈ આવી...
પોતે ઇમોશનલ સ્પીચ આપ્યા બાદ અનંત અંબાણીની સ્પીચ સાંભળીને મુકેશ અંબાણી ભાવવિભોર થઈ ગયા હતા. મોંઘેરા મહેમાનોની હાજરીમાં અનંતે મમ્મી-પપ્પાનો આભાર માન્યો હતો. ત્યાર બાદ અનંતે કહ્યું હતું કે હું જ્યારે હેલ્થ-ઇશ્યુઝનો સામનો કરી રહ્યો હતો ત્યારે મમ્મી-પપ્પા મારા પડખે ચટ્ટાનની જેમ ઊભાં હતાં. તે આગળ કંઈ બોલે એ પહેલાં આ સાંભળીને મુકેશ અંબાણીની આંખ ભરાઈ ગઈ હતી, પણ ગમે એમ કરીને તેમણે પોતાનાં ઇમોશન્સ પર કાબૂ મેળવી લીધો હતો.
ત્યાર બાદ અનંતે મમ્મીએ તૈયાર કરેલી પ્રી-વેડિંગ ઇવેન્ટ માટે કહ્યું હતું કે ‘થૅન્ક યુ મમ્મા, તેં આ જે કર્યું છે એના માટે.’
અનંતે વધુમાં ઉમેર્યું હતું કે ‘આ બધું બીજા કોઈએ નહીં પણ મારી મમ્મીએ તૈયાર કર્યું છે. છેલ્લા ચાર મહિનામાં તેમણે રોજના ૧૮થી ૧૯ કલાક કામ કર્યું છે. આઇ ઍમ ગ્રેટફુલ ટુ યુ મમ્મા. મારાં મમ્મી-પપ્પા હંમેશાં મારા પડખે ઊભાં રહ્યાં છે.’
ત્યાર બાદ તેણે પોતાની લાઇફ-પાર્ટનર રાધિકા વિશે કહ્યું હતું કે ‘હું સો ટકા નસીબદાર છું કે મને રાધિકા જેવી લાઇફ-પાર્ટનર મળી, કારણ કે મને એ પણ નથી ખબર કે રાધિકા કઈ રીતે મળી. એટલે મને લાગે છે કે હું નસીબદાર જ છું. અમે સાત વર્ષ પહેલાં મળ્યાં હોવા છતાં મને એવું જ લાગે છે કે જાણે ગઈ કાલે જ મળ્યાં હોઈએ. હું જ્યારે પણ રાધિકાને જોઉં છું ત્યારે મારા દિલમાં ભૂકંપ અને સુનામી આવે છે.
અનંત અને રાધિકાનાં લગ્ન ૧૨ જુલાઈએ થવાનાં છે.
એકનાથ શિંદે પણ પહોંચ્યા જામનગર
અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં હાજરી આપવા ગઈ કાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચાર્ટર્ડ પ્લેનમાં જામનગર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના જળસંસાધન અને મેડિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન ગિરીશ મહાજન પણ હતા.