મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી
અમદાવાદમાં મુસ્લિમ સમાજે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ગઈ કાલે ચાંદીનો રથ અર્પણ કરીને શુભેચ્છા વ્યક્ત કરી હતી તેમ જ અમદાવાદના ભગવાન જગન્નાથજી મંદિરના માલપૂઆનો પ્રસાદ બનાવી રહેલા રસોઇયાઓ.(તસવીર- જનક પટેલ)
અષાઢી બીજે અમદાવાદમાંથી નીકળતી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજી ભગવાનની રથયાત્રા માટેનો માહોલ જામતો જાય છે. આગામી રવિવારે, ૭ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં અનેક નાનાં-મોટાં શહેરો અને નગરોમાંથી કુલ ૧૩૬ રથયાત્રાઓ તેમ જ ૭૩ શોભાયાત્રાઓ ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે યોજાશે. અમદાવાદની રથયાત્રાને લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સાથે ગઈ કાલે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
અમદાવાદની રથયાત્રામાં શું હશે એની ઝલક જોઈ લો...
ADVERTISEMENT
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના ત્રણ રથ ૧૦૦૦થી વધુ ખલાસીભાઈઓ ખેંચશે.
દેશભરમાંથી બે હજાર સાધુ-સંતો આવશે.
રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરીના પ્રસાદનું તેમ જ બે લાખ ઉપરણાનું ભક્તોમાં વિતરણ થશે.
રથયાત્રામાં ૧૮ ગજરાજો, ૧૦૧ ટ્રકમાં ટૅબ્લો, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ અને ૩ બૅન્ડવાજાં જોડાશે.
રવિવારે વહેલી પરોઢે ૩.૪૫ વાગ્યે જગન્નાથ મંદિરનાં દ્વાર ખૂલશે અને મંગળા-આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહીને દર્શન કરશે.
વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવશે અને ત્યાર બાદ પ્રભુને રથમાં બેસાડવામાં આવશે.
સવારે ૭ વાગ્યે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
અમદાવાદની રથાયાત્રામાં પોલીસ-બંદોબસ્ત કેવો રહેશે?
૧૮,૭૮૪ : અમદાવાદની રથયાત્રામાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IG)થી લઈને પોલીસ-કૉન્સ્ટેબલ સુધીના આટલા પોલીસ-કર્મચારીઓ તહેનાત રહેશે.
૪૫૦૦ : ત્રણ રથ, ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓની સુરક્ષા માટે તેમની સાથે પોલીસનો આટલો મૂવિંગ બંદોબસ્ત રહેશે.
૪૭ : આટલાં લોકેશન પર ૯૬ કૅમેરા ગોઠવાશે.
૨૦ : આટલા ડ્રોનથી રથયાત્રા પર નજર રખાશે.
૧૭૩૩ : શરીર પર કૅમેરા પહેરેલા આટલા પોલીસ-જવાનો દ્વારા લાઇવ મૉનિટરિંગ.
૧૪૦૦ : રથયાત્રાના ૧૬ કિલોમીટરના રૂટ પર આટલા CCTV કૅમેરાથી વૉચ રખાશે.