દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી આધ્યાત્મિક ધાર્મિક બાબતો સહિત સોમનાથના ઇતિહાસ વિશે બન્યો છે આ શો
ફાઇલ તસવીર
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દર્શનાર્થીઓ માટે આજથી ફરી શરૂ થશે.
સોમનાથ મંદિરનો એક આગવો ઇતિહાસ છે જ્યાં દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં પડ્યાં છે અને એની લોકવાયકા પણ જોડાયેલી છે ત્યારે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથજી આ ભૂમિ પર કેવી રીતે પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ અંતિમલીલા દર્શાવી, કેવી રીતે આ તીર્થને પ્રભાસ કહેવાયું એના સહિતની આધ્યાત્મિક ધાર્મિક બાબતોને લઈને સોમનાથના ઇતિહાસનો 3D ટેક્નૉલૉજીની મદદથી લાઇટ ઍન્ડ સાઉન્ડ શો બનાવ્યો છે. આ શો જોવાથી દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ સોમનાથના ઇતિહાસથી માહિતગાર થઈ શકે છે. આજે સંધ્યા આરતી બાદ સાંજે ૭.૪૫ વાગ્યે આ શો યોજાશે. શનિ-રવિવારે તેમ જ તહેવારોના દિવસોમાં દર્શનાર્થીઓના પ્રવાહને ધ્યાનમાં લઈને બે શો યોજાશે. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન આ શો બંધ કરવામાં આવ્યો હતો જે હવે ફરી શરૂ થઈ રહ્યો છે.