શરીરને તાવ આવે એવી જ રીતે મગજ પણ બીમાર પડે અને એ બીમાર પડે ત્યારે એની માટે જે જરૂરી હોય એ કરવું પડે, પણ સો-કૉલ્ડ બૌદ્ધિકો પણ આ મૂર્ખામી કરે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
એક નહીં, ત્રણ કિસ્સા એવા બન્યા જેને લીધે આજે આ વિષય પર વાત કરવાનું નક્કી કર્યું. એક લેડી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને પ્રૅક્ટિકલ પણ ખૂબ. એક દિવસ તે મળવા આવી. મેન્ટલી અપસેટનેસ સાથે જીવતી એ ચાળીસી વટાવી ચૂકેલી મહિલા સાથે જે પણ વાત કરું એ બધી વાતમાં તેનો જવાબ એવો જ આવે કે આ બધી મને ખબર છે. ફાઇનલી, મેં તેને સમજાવ્યું કે તમને ડિપ્રેશનની દવા લેવાની જરૂર છે, એનો પણ જવાબ તેની પાસે રેડી હતો કે હા, મને ખબર છે, પણ મારે એ લેવી નથી અને તેણે ધરાર દવા લખવા દીધી નહીં અને પછી એ રવાના થઈ ગઈ. વાતે-વાતે રડી પડતી તે લેડીને મેનોપૉઝની અસર દેખાતી હતી, કૉર્પોરેટ જૉબમાં સંતોષ મળતો નહોતો. જીવનમાં કોઈ સાથ નહીં એટલે તેની એકલતા પણ અકબંધ હતી તો આ સિવાય પણ ડિપ્રેશન આવે એવા બીજાં પણ અનેક કારણો તેની લાઇફમાં હતાં, પણ એમ છતાં તે મનને હળવાશ આપે એવી મેડિસિન કરવા રાજી નથી. આ કિસ્સામાં જો કોઈ કારણભૂત હોય તો એ છે તેનું ડહાપણ. કોઈએ સરસ કહ્યું છે, ડાહ્યો માણસ હંમેશાં વધારે દુઃખી થાય, પણ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે આ ડાહ્યો માણસ પોતે દુઃખી નથી થતો, પણ બીજાને દુઃખી કરતો હોય છે, બીજાને પીડા આપે છે.