નાઇટફૉલ રોકવા અનેક દવાઓનો પ્રચાર થાય છે જેની કોઈ જ જરૂર નથી.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૧૯ વર્ષની છે. મેં કૉલેજના ફર્સ્ટ યરની ફાઇનલ એક્ઝામ આપી છે. મને દર પાંચ-સાત દિવસે રાતે ઊંઘમાં જ સ્પર્મ નીકળી જાય છે. ક્યાંક વાંચ્યું હતું કે એને નાઇટફૉલની બીમારી કહેવાય જે સેક્સના બહુ વિચારો કરવાને કારણે આવતી હોય છે. મારું વેઇટ પણ વધતું નથી અને મને વીકનેસ પણ ખૂબ રહે છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે નાઇટફૉલની બીમારીને કારણે મને આ પ્રૉબ્લેમ રહે છે. હું નિયમિત રોજ રાતે ભગવાનનું નામ લઈને સૂઈ જઉં છું. નાઇટફૉલ રોકવા માટે શું કરવું જોઈએ?
મલાડ
તમે નાહકની ચિંતા કરો છો એટલે સૌથી પહેલાં તો આ ટેન્શન છોડી દો, કારણ કે તમે એક તદ્દન નૉર્મલ વ્યક્તિ છો એનું જ આ લક્ષણ છે. તમારે એ સમજી લેવું જોઈએ કે સ્પર્મ યુરિન, થૂંક, આંસુ, મળ કે નાકમાંથી નીકળતા કફ જેવું જ એક નૅચરલ પ્રવાહી છે જે શરીરમાં ચોવીસે કલાક સતત બન્યા જ કરે છે. આ બધી ચીજો આપમેળે શરીરમાંથી બહાર નીકળે છે, એને રોકી શકાતી નથી. વ્યક્તિ રોકવાનો પ્રયત્ન કરે તો પણ એ પોતાની મેળે બહાર નીકળી જાય છે.
ADVERTISEMENT
હવે એક ઉદાહરણથી સમજાવું. તમે પાણી ભરેલો એક ગ્લાસ લો. એમાં વધુ ને વધુ પાણી ઉર્મેયા કરો. તો શું થશે? પાણી આપમેળે બહાર છલકાશેને? એવી જ રીતે સ્પર્મને જો મૅસ્ટરબેશન કે સેક્સ દ્વારા બહાર કાઢવામાં ન આવે તો એ તમારી અભાનતામાં જ બહાર છલકાઈ જાય છે. એવું પણ માનવું ન જોઈએ કે સ્પર્મ નીકળી જવાથી ખલાસ થઈ જાય. ના, કારણ કે દરેક પુરુષના શરીરમાં એક ચોક્કસ ઉંમર પછી અને એક ચોક્કસ સમય સુધી સ્પર્મ સતત બન્યા જ કરે છે. જો એને બહાર કાઢી નાખવામાં ન આવે તો એ એની મેળે સ્વપ્નસ્રાવ દરમ્યાન બહાર આવી જાય છે. આ જે સ્વપ્નસ્રાવ છે એને અંગ્રેજીમાં નાઇટફૉલ કહે છે. આ કોઈ બીમારી નથી. આ એક નિયમિત ગ્લાસ છલકાવા જેવી પ્રક્રિયા છે. સ્પર્મના રૂપમાં જે સફેદ પ્રવાહી નીકળે છે એમાં શુક્રાણુઓની માત્રા એક ટકો હોય છે. બાકીનું માત્ર પ્રવાહી હોય છે જે શુક્રાણુઓનું વહન કરવાનું કાર્ય કરે છે.
નાઇટફૉલ રોકવા અનેક દવાઓનો પ્રચાર થાય છે જેની કોઈ જ જરૂર નથી. એને કારણે શારીરિક નબળાઈ આવે કે વેઇટ ન વધે એ સાવ વાહિયાત ભ્રમણા છે એટલે ટેન્શન ન રાખો.