Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પૈસા કમાવવા એ પરાક્રમ હોઈ શકે, પણ પૈસા છોડવા એ જીવનનું મહાપરાક્રમ છે

પૈસા કમાવવા એ પરાક્રમ હોઈ શકે, પણ પૈસા છોડવા એ જીવનનું મહાપરાક્રમ છે

30 September, 2024 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ અઢારેય માણસો જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તેમના એ શેઠના ભવ્ય પરાક્રમની ઝાંખી તેમની આંખોમાં નિહાળી. એ ચમક શેઠને પૈસા કમાવી આપતી વખતે પણ ક્યારેય જોવા નહીં મળી હોય

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


ધમણ પાસે પ્રાણવાયુ છે, પણ પ્રાણ નથી. હૉકીની સ્ટિક પાસે માથું છે, પણ વિચારો નથી. પ્લાસ્ટિકનાં ફૂલ પાસે સૌંદર્ય છે, પણ સુવાસ નથી. સાગર પાસે પાણી છે, પણ એમાં તૃષાતૃપ્તિ નથી. લોભી પાસે સંપત્તિ હોય તોયે તેની પાસે નથી સામેવાળાના દુઃખને સમજી શકતું હૃદય.’

આ વાત નીકળી એ દિવસના પ્રવચન પછી બપોરે એક ભાઈ મળવા આવ્યા, તેમને હું રોજ પ્રવચનસભામાં જોતો.


‘મહારાજસાહેબ, આજે પ્રવચન સાંભળી સીધો ઑફિસે ગયો અને ત્યાં જે સુંદર કામ કર્યું એની જાણ કરવા હું આવ્યો છું...’ ભાઈએ હર્ષ સાથે વાત માંડી, ‘મારી ઑફિસમાં કાયમી માણસો નવ અને હમાલી કામ કરતા માણસો પણ નવ. બધુંયે મળીને અઢાર જણ ઑફિસના કામમાં. આ દરેકે પગાર ઉપરાંત થોડી-ઘણી રકમ ઑફિસમાંથી વ્યાજે ઉપાડેલી. કોકના નામે ૩૦૦૦ તો કોકના નામે ૫૦૦૦ બોલે. કોકના નામે ૨૦,૦૦૦ પણ બોલે તો કોકના નામે ૫૦,૦૦૦ પણ બોલે.’

ભાઈના શબ્દોમાં ઉત્સાહ પણ હતો અને ખુશી પણ હતી.

‘તે અઢારને મેં બોલાવ્યા ઑફિસમાં અને લેણી નીકળતી તમામ રકમ મેં માફ કરી દીધી. તેમના ચહેરા પર જે ખુશી હતી એ ખુશી શબ્દોમાં વર્ણવવાની મારામાં તાકાત નથી, શું કહું હું આપને? દર મહિને પગાર ચૂકવતી વખતે તેમની પગારની ૨કમમાંથી ૨૦૦-૫૦૦ રૂપિયા જેટલી રકમ કપાતી વખતે તેમનામાં અંકાઈ જતી વેદનાની રેખા વાંચવા હું આંધળો હતો. એક બાજુ આ મોંધવારી અને બીજી બાજુ પગાર, તેમનો જીવન-નિર્વાહ થાય પણ લોભાંધતા કોનું નામ. આજ સુધીમાં એ દિશામાં વિચારવા તૈયાર નહોતો, પણ હવે સાંભળવા રહ્યાં છે પ્રભુનાં વચનો અને તેણે જ સદ્બુદ્ધિ સુઝાડી છે.’ ભાઈની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં, ‘આપ નહીં માનો, પણ માણસોની આંખોમાં એ સમયે જે પ્રેમ અને વાત્સલ્ય મેં જોયાં એ જોઈને સાચે એ સમયે હું રડ્યો છું. મને પહેલી વાર અનુભવ થયો કે પૈસા રાખવાના, માગવાના અને વધારવાના આનંદને ક્યાંય ટક્કર લગાવી દે એવો આનંદ તો પ્રસન્નતાપૂર્વક પૈસા છોડી દેવામાં અનુભવી શકાય છે. મહારાજસાહેબ, રૂપિયા કમાવવાનું પરાક્રમ તો કર્યું મેં, પણ એ છોડવાનું મહાપરાક્રમ આજે કર્યું, જેનો મારો આનંદ પરાકાષ્ઠાએ છે. એ અઢારેય જણ આપનાં દર્શન માટે આવ્યા છે, કારણ તેમની સમક્ષ મેં ખુલાસો કર્યો કે તમારી આ રકમ છોડી દેવાની મને જાગેલી સદ્બુદ્ધિ એ ગુરુદેવની પ્રેરણાને આભારી છે.’

એ અઢારેય માણસો જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તેમના એ શેઠના ભવ્ય પરાક્રમની ઝાંખી તેમની આંખોમાં નિહાળી. એ ચમક શેઠને પૈસા કમાવી આપતી વખતે પણ ક્યારેય જોવા નહીં મળી હોય.



- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2024 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK