Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

સમજવાની તૈયારી છે?

02 September, 2024 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં જ્ઞાન અને સમજ હોય ત્યાં શાંતિ અને સમાધિ હોય : જ્યાં અજ્ઞાન અને અણસમજ હોય ત્યાં અશાંતિ અને અસમાધિ હોય

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વિશેષ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


આ જગતમાં જેટલા પણ રાગદ્વેષ થાય છે, જેટલા પણ સંઘર્ષ થાય છે, જેટલા પણ problems થાય છે એ બધાનું કારણ શું હોય છે? જ્ઞાન હોય કે અજ્ઞાન હોય?


સમજ હોય કે અણસમજ અને ગેરસમજ હોય?



જ્યાં જ્ઞાન અને સમજ હોય ત્યાં શાંતિ અને સમાધિ હોય.


જ્યાં અજ્ઞાન અને અણસમજ હોય ત્યાં અશાંતિ અને અસમાધિ હોય.

તમારી અશાંતિ અને શાંતિ વચ્ચેનો ratio શું હશે?


90/10, 80/20 60/40 %?

અને પરમાત્માની શાંતિ કેટલી હશે? 100 %!!

પરમાત્માને ચંડકૌશિક સર્પએ ડંખ માર્યો, પરમાત્માને 20 % અશાંતિ થઈ. પરમાત્માને ગોવાળે કાનમાં ખીલા માર્યા, પરમાત્માની શાંતિનો ratio 40/60 થઈ ગયો. એવું બને ક્યારેય?

પરમાત્માની આ શાંતિ પાછળનું secret શું હતું? પરમાત્મા પાસે એવી કઈ સમૃદ્ધિ હતી? પરમાત્મા પાસે એવું કયું તત્ત્વ હતું જેના કારણે પરમાત્માના ચહેરા પર, પરમાત્માના મનમાં, અંતરમાં, અંતરંગ દશામાં અને આત્મામાં શાંતિ અને સમાધિ જ હતી?

પરમાત્મા પાસે જે સમાધિની સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ આવે ક્યાંથી? એ સમૃદ્ધિ હોય શેની? એ સમૃદ્ધિ આવે કોની પાસે?

પરમાત્માએ મોક્ષમાર્ગની પ્રરુપણામાં સૌથી પ્રથમ તત્ત્વ બતાવ્યું ‘જ્ઞાન’! જ્ઞાન એટલે સમજ!

જેમની પાસે સમજની સમૃદ્ધિ હોય તેમના જીવનમાં સમાધિ હોય!

સુખી કોણ હોય? સંપત્તિવાળા કે સમજવાળા?

મૂળા શેઠાણી પાસે વિશાળ હવેલી અને અઢળક સંપત્તિ હતી છતાં તેમના મનમાં ચંદનબાળાને કારણે અશાંતિ અને અસમાધિ હતી. તેમની અંદરમાં, મનમાં જે ઈર્ષ્યાની આગ હતી એને કારણે એ સમૃદ્ધ હવેલી પણ તેમના માટે પળ-પળ મનને બાળનાર સ્મશાન જેવી હતી.

આજે મોટા ભાગનાં ઘરોમાં કયા words વધારે વપરાતા હશે?

You don’t understand me, તમે તો મને સમજતા જ નથી,

તમને ક્યારેય મારી વાત સમજાતી નથી, તમને હંમેશાં તમારું જ સાચું લાગે છે! બરાબર!

જ્ઞાની અને સમજદારના ઘરમાં કયા words વપરાતા હોય? I understand you, હું તમને સમજી શકું છું, હું તમારી ભાવનાઓને સમજું છું, હું તમારા વિચારોને સમજી શકું છું.

જ્યાં સમજ હોય ત્યાં શાંતિ અને સમાધિ હોય.

માટે જ જીવનસાથી શોધવા તો એવા શોધવા જેમની પાસે સંપત્તિની સમૃદ્ધિ ભલે ઓછી હોય પણ સમજની સમૃદ્ધિ વધારે હોય.

જેમની પાસે સમજની સંપત્તિ હોય તેમને જિંદગીના અંતિમ શ્વાસે પણ શાંતિ હોય અને જેમની પાસે સમજ ન હોય તેમને જિંદગીના હર શ્વાસે અશાંતિ હોય.

માટે જ પરમાત્માએ સૌથી વધારે મહત્ત્વ જ્ઞાનને અર્થાત્ સમજને આપ્યું છે.

જ્ઞાનીની વ્યાખ્યા એ જ છે જે પોતાને અજ્ઞાની અને અલ્પ જ્ઞાની માનતા હોય.

અજ્ઞાની હજી પણ પોતાને જ્ઞાની માનતા હોય; પણ જ્ઞાની તો પોતાને અજ્ઞાની, અબુધ અને અણસમજુ માનતા હોય. માટે જ તેમને જ્ઞાન અને જ્ઞાનીની value હોય. ગુરુના શ્રીમુખેથી પ્રગટ થતું એક-એક જ્ઞાનનું વચન તેમના માટે સુવર્ણના સિક્કાના વર્ષીદાન સમાન હોય.

વિચાર કરો, સુવર્ણના સિક્કાનો વરસાદ વરસતો હોય ત્યારે તમારું ધ્યાન ક્યાં હોય? તમારું લક્ષ્ય ક્યાં હોય? એ સિક્કાને એકત્રિત કરવામાં! એમ જ્ઞાનીનું લક્ષ્ય હોય પ્રભુની પ્રજ્ઞાના વરસતા સિક્કાને પ્રાપ્ત કરવાનું. ગુરુના શ્રીમુખથી પ્રગટ થતું એક પણ વાક્ય miss ન થાય, એવી એકાગ્રતા હોય!

જ્ઞાનપ્રાપ્તિની એક-એક ક્ષણ જીવનની સાર્થક ક્ષણ હોય.

જ્ઞાની તે હોય જેમની પાસે સમજની bank હોય. તે જ્ઞાનના પ્રત્યેક વચનને એક diaryમાં લખીને સાચવીને રાખે. તેને માટે એ diary કરોડો રૂપિયા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય.

જીવનની આ યાત્રામાં વ્યક્તિ એક મોટી mistake કરતી હોય છે. જેટલું સંપત્તિને મહત્ત્વ આપે છે એટલું સમજને નથી આપતી. સમજની સંપત્તિ જે ભવોભવ સાથે આવે છે એને નગણ્ય કરે છે અને જે રૂપિયાની સંપત્તિ આ ભવ પૂરતી જ છે એના માટે રાત-દિવસ દોડે છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આ અવસરે એક સંસ્કારને દૃઢ કરવાના છે અને એ સંસ્કાર છે, સમજના સંસ્કાર! એ સંસ્કાર છે જ્ઞાનના સંસ્કાર!

આજ સુધી જેટલા પણ આત્માઓનો મોક્ષ થયો છે, જેટલા પણ આત્માઓએ આત્મવિશુદ્ધિ કરી છે એ સૌમાં સૌથી પ્રથમ પરિબળ

હતું જ્ઞાનનું!

જેમ-જેમ જ્ઞાન વધતું ગયું, જેમ-જેમ સમજ કેળવાતી ગઈ એમ-એમ તેમની વિષમતા ઘટવા લાગી અને સમતા અને ક્ષમતા વધવા લાગી અને મોક્ષમાર્ગની સમીપ થતા ગયા.

આખો મોક્ષમાર્ગ જ્ઞાનથી જ સર્જાયેલો છે.

દુનિયામાં જેટલાં પણ દુ:ખો છે, જેટલી તકલીફો છે, જેટલી સમસ્યા છે, જેટલા દોષો અને અવગુણો છે એનું કારણ છે અજ્ઞાન અને અણસમજ!

Check કરો, તમારી આસપાસ સમજવાવાળા વધારે છે કે અણસમજવાવાળા?

જે બીજાને સમજતા નથી તેને કોઈ સમજતું નથી.

જેમની પાસે સમજની મૂડી છે તેનો ચહેરો સદાય હસતો અને ખીલેલો હોય છે, જ્યારે અણસમજુનો ચહેરો ઉદાસ અને નિરાશ હોય.

માટે જ પ્રતિદિન સમજની સમૃદ્ધિને વધારવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સમજના સિક્કાનો વરસાદ વરસતો હોય એવા ગુરુ અને જ્ઞાનીજનોના સાંનિધ્યમાં જઈ એને ઝીલવા જોઈએ અને વધારેમાં વધારે સત્સંગ કરવો જોઈએ. દરરોજ પ્રભુવચનોનું શ્રવણ કરવું જોઈએ.

ધર્મને મનોરંજન નહીં, મનોમંથનનું માધ્યમ બનાવવું જોઈએ. સમજ જ્યારે આવે છે ત્યારે ધર્મ આપોઆપ મનોમંથનનું કારણ બની જાય છે અને સમજ નથી હોતી ત્યારે વ્યક્તિ ધર્મમાં પણ મનોરંજનને શોધે છે.

તમારામાં સમજ હોવી જોઈએ અને તમારી આસપાસ સમજુ વ્યક્તિ હોવી જોઈએ.

સમજુ તે હોય જે પોતાની તકલીફ, પોતાના problems કોઈને કહે નહીં, કોઈની પાસે રડે નહીં. તે એકાંતમાં જઈ પોતાની સમજ પ્રમાણે solution લઈ આવે. અણસમજુ આસપાસવાળાને કહે છે; problems solve તો ન કરે પણ problemsને, દુ:ખને વધારી દે.

સંગ કરવો તો સમજદારનો કરવો, જે સમાધિ આપે!

અજ્ઞાની અસમાધિને વધારે અને એક વાર અસમાધિ મનમાં આવી જાય, જીવનમાં આવી જાય પછી એને જતાં બહુ સમય લાગે.

તમે lifeમાં ઘણા બધા કલાકો કમાવામાં, મોજશોખમાં અને સંબંધો સાચવવામાં વિતાવો છો; પણ ક્યારેય સમજને પ્રાપ્ત કરવા માટે, સત્સંગ કરવા માટે, જ્ઞાનવૃદ્ધિ કરવા માટે સમયનું planning કર્યું છે?

સમજતા આપણે નથી અને બીજાને કહીએ છીએ કે તમે મને સમજતા નથી. માટે I love you કહેવાને બદલે, I respect you કહેવાને બદલે I understand you કહેતા થઈ જાઓ, જીવનમાં શાંતિ અને સમાધિ સહજતાથી વધી જશે.

આપણું અજ્ઞાન જ આપણને ‘આપણે અજ્ઞાની છીએ’ એ realise થવા નથી દેતું.

આપણું સૌથી મોટું અજ્ઞાન એ છે કે પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો યોગ-સંયોગ હોવા છતાં એ પ્રાપ્ત કરવાનું મન નથી થતું. કેવું દુર્ભાગ્ય કહેવાયને!!

કોઈ પણ આત્માનો મોક્ષ ક્યારે થાય?

જે દિવસે પ્રભુનું જ્ઞાન અને મારું જ્ઞાન સરખું થઈ જાય,

જે દિવસે પ્રભુની સમજ અને મારી સમજ એક થઈ જાય,

એ દિવસે પ્રભુ અને હું એકસરખા થઈ જઈએ.

પ્રભુનું જીવન અને મારું જીવન ભલે સરખું ન હોય; પણ પ્રભુનું જ્ઞાન અને મારું જ્ઞાન સરખું હોવું જોઈએ, પ્રભુની સમજ અને મારી સમજ એક હોવી જોઈએ. એ ક્યારે થાય?

જ્યારે સ્વયંની સમજવાની તૈયારી હોય!

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK