કહેવાય છે કે દરરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસના ૫૦ મિનિટના અભિજિતકાળમાં અહીં આવેલા સ્થાણુ સરોવરમાં વિશ્વના દરેક પ્રાચીન તીર્થનાં તથા પૂજનીય નદીઓનાં જળ સંમેલિત થાય છે. એનું આચમન, દર્શન, પૂજા કરવાથી મનુષ્ય પાપકર્મથી મુક્ત થાય છે
તીર્થાટન
સ્થાણુ મહાદેવ મંદિર
હરિયાણા રાજ્યનું કુરુક્ષેત્ર ઓરિજિનલી રાજા કુરુનું સામ્રાજ્ય. કૌરવો અને પાંડવોના આ વડીલના નામથી જ આ ક્ષેત્રનું નામ પડ્યું છે. વામનપુરાણ કહે છે કે રાજા કુરુની તપસ્યા, ક્ષમાભાવ, પવિત્રતા, દયાભાવ, ભક્તિ, દાનવીરપણું અને સત્યનિષ્ઠા જેવા ગુણોથી પ્રભાવિત થઈ ખુદ વિષ્ણુજીએ આ ભૂમિને વરદાન આપ્યું હતું કે ‘આ ક્ષેત્ર રાજવી કુરુના નામથી ઓળખાશે અને અહીં જેનું મૃત્યુ થશે તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળશે.’