પહેલો દિવસ મા શૈલપુત્રીનો : પીડામાંથી મુક્તિ માટે હ્રીં શિવાયૈ નમઃનું પઠન કરવું
માતા શૈલપુત્રી
આજથી આરાધના અને ઉત્સવના મહાપર્વ એવી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા શૈલપુત્રી હિમાલયનાં દીકરી છે, જેમને સતીનો દ્વિતીય અવતાર પણ કહેવામાં આવ્યા છે. શિવજીની અર્ધાંગિની સતી માતા જ્યારે પિતા દક્ષ પ્રજાપતિના હવનમાં ગયા ત્યારે હવનમાં બધાની હાજરીમાં તેમણે પોતાના પરમેશ્વર શિવજીનું અપમાન થયું અને માતા સતી ખિન્ન થયાં અને કૈલાસ પાછા ફરવાને બદલે તેમણે એ જ યજ્ઞમાં પોતાને સમર્પિત કરી દીધાં. સમાચાર મળ્યા પછી શિવજીએ તેમના ગણ વીરભદ્રને એ યજ્ઞમાં મોકલ્યો જેણે સતીના મૃત્યુ અને શિવના અપમાનને કારણે ક્રોધિત થઈ દક્ષ પ્રજાપતિને નતમસ્તક કર્યો અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. નંદીશ્વર વીરભદ્રએ યજ્ઞ કરાવતાં બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તેઓ તેમની વિદ્યા થકી માત્ર જીવન ગુજરાન જ ચલાવી શકશે, હવે તેઓ ક્યારેય (નવું) જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નહીં તો દક્ષ પ્રજાપતિને તેના અહંકારને કારણે શ્રાપ આપ્યો કે તે હવે પછીના જન્મમાં બકરા તરીકે જન્મશે અને આ જીવનમાં તેમણે હું-હું કર્યું પણ હવે એ આવતા જન્મમાં આખી જિંદગી બેં-બેં કરશે. અપરાધિત દક્ષ પ્રજાપતિ તથા બ્રાહ્મણોને શ્રાપનું પરિણામ ભોગવવું પડ્યું.



