જેનિફર મિસ્ત્રી બન્સીવાલનું કહેવું છે કે અસિત મોદી દ્વારા સાક્ષીઓ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે
ફાઇલ તસવીર
જેનિફર મિસ્ત્રી બન્સીવાલનું કહેવું છે કે અસિત મોદી દ્વારા સાક્ષીઓ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ સોઢીના રોલમાં જેનિફર દેખાઈ હતી. જોકે તેણે થોડા સમય પહેલાં આ શો છોડી દીધો છે. તેની સાથે શોના મેકર અસિત મોદીએ ખરાબ વર્તન કર્યું હતું. જેનિફર ઘણા સમયથી અસિતને લઈને વિવિધ ખુલાસાઓ કરી રહી છે. ગુરુચરણ સિંહ સોઢીએ તેને ખાતરી આપી હતી કે તે કોર્ટમાં આવીને જુબાની પણ આપશે. જોકે બાદમાં તેણે બન્ને વચ્ચે સમાધાન કરવાની વાત કહી હતી. સાથે જ ગુરુચરણના સાડાત્રણ વર્ષના બાકી રહેલા પૈસા શોની ટીમે તેને ચૂકવી દીધા હતા. એથી જેનિફરને અંદાજ આવ્યો કે સાક્ષીઓ પર તે પ્રભાવ પાડી રહ્યો છે. એ વિશે જેનિફરે કહ્યું કે ‘ગુરુચરણ બધી વાતો જાણે છે. ગુરુચરણે જાતે મને કૉલ કરીને જણાવ્યું કે તે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થશે. તેણે મને એમ પણ જણાવ્યું કે તે મીડિયા સમક્ષ નહીં આવે, પરંતુ કોર્ટમાં મને સપોર્ટ આપવા આવશે. ૯ જૂને અચાનક હું તેને મળવા ગઈ હતી તો તેણે મને જણાવ્યુ કે ૮ જૂને તેને અચાનક ઑફિસ જવું પડ્યું હતું અને સાડાત્રણ વર્ષથી તેનું બાકી રહેલું મહેનતાણું ચૂકવવામાં આવ્યું. ત્યારે જ મને એહસાસ થયો કે તે મારા પક્ષમાં નહીં બોલે. મેં તેને કંઈ કહ્યું નહીં, પરંતુ તેણે મને જણાવ્યું કે તે અસિત મોદી અને મારી વચ્ચે તટસ્થ વ્યક્તિ છે અને બન્નેને સાથે બેસાડીને ચર્ચા કરાવી શકે છે.’