રજનીકાન્તની ‘જેલર’ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ ૧૦ ઑગસ્ટે રિલીઝ થઈ છે.
રજનીકાન્ત અને યોગી આદિત્યનાથ
રજનીકાન્ત ઉત્તર પ્રદેશ ગયા હતા અને તેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. રજનીકાન્તે યોગીને પગે પડીને આશીર્વાદ લીધા હતા. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઝારખંડના ગવર્નર સી. પી. રાધાક્રિષ્નન સાથે મુલાકાત કરી હતી. ગઈ કાલે તેઓ અયોધ્યાના રામમંદિર પણ ગયા હતા. રજનીકાન્તની ‘જેલર’ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ ૧૦ ઑગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ ઉત્તર પ્રદેશ ગયા છે અને ત્યાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. રજનીકાન્ત સાથેની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૅપ્શન આપી હતી, ‘પ્રખ્યાત ફિલ્મઅભિનેતા શ્રી રજનીકાન્તજી સાથે લખનઉ સ્થિત સરકારી નિવાસસ્થાને શિષ્ટાચાર મુલાકાત યોજાઈ હતી.’
સાથે જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. રજનીકાન્ત પણ આ મુલાકાતથી ખુશ હતા. તેમની સાથેનો ફોટો X પર શૅર કરીને અખિલેશ યાદવે પોસ્ટ કર્યું હતું, ‘જબ દિલ મિલતે હૈં તો લોગ ગલે મિલતે હૈં. મૈસૂરમાં એન્જિનિયરિંગની સ્ટડી દરમ્યાન પડદા પર રજનીકાન્તજીને જોઈને જેટલી ખુશી થતી હતી એ આજે પણ છે. અમે ૯ વર્ષ પહેલાં વ્યક્તિગત રૂપે મળ્યા અને ત્યારથી અમારી આ મિત્રતા છે.’