શેખર સુમનના મોટા દીકરા આયુષનું ૧૧ વર્ષની ઉંમરે ૧૯૯૫ની ત્રીજી એપ્રિલે અવસાન થયું હતું
શેખર સુમન
શેખર સુમનના મોટા દીકરા આયુષનું ૧૧ વર્ષની ઉંમરે ૧૯૯૫ની ત્રીજી એપ્રિલે અવસાન થયું હતું. તેને કોઈ રૅર બીમારી થઈ હતી. આ બીમારી સાથે તેણે ચાર વર્ષ સુધી જંગ લડ્યો હતો. દીકરાની સારવાર માટે શેખર સુમને અનેક ડૉક્ટર્સને પણ કન્સલ્ટ કર્યા હતા. આમ છતાં આયુષ બચી શક્યો નહીં. એથી તેને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો અને તેણે તમામ મૂર્તિઓને હટાવી દીધી હતી. તેણે ઘરના મંદિરને પણ બંધ કરી દીધું હતું. આજે પણ દીકરાને યાદ કરીને શેખર સુમન ઇમોશનલ થઈ જાય છે. દીકરા સાથે પસાર કરેલા અંતિમ સમયને યાદ કરતાં શેખર સુમન કહે છે, ‘ચમત્કાર નથી થતા. એક દિવસની વાત છે. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો અને આયુષની તબિયત ઠીક નહોતી. ડિરેક્ટર પણ મારા બાળકની સિરિયસ કન્ડિશન જાણતો હતો. આમ છતાં તેણે મને બે-ત્રણ કલાક માટે શૂટ પર આવવાની વિનંતી કરી હતી. મેં ના પાડી તો તેણે કહ્યું કે ‘પ્લીઝ આવી જાઓ, નહીં તો મને ખૂબ મોટું નુકસાન થશે.’ હું જવા માટે રાજી થઈ ગયો. હું ઘરેથી જ્યારે નીકળી રહ્યો હતો ત્યારે આયુષે મારો હાથ પકડીને કહ્યું કે ‘પાપા પ્લીઝ આજે ન જાઓ.’ મેં તેને પ્રૉમિસ કર્યું કે હું જલદી પાછો આવી જઈશ. એ ક્ષણને તો હું આજ દિન સુધી નથી ભૂલ્યો.’
દીકરાના અવસાન બાદ તેને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. તમામ મૂર્તિ ઘરમાંથી હટાવી લીધી હોવાનું જણાવતાં શેખર કહે છે, ‘ઘરમાંથી તમામ મૂર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. મંદિર પણ બંધ કરવામાં આવ્યું હતું. ભગવાને મને આટલું દર્દ આપ્યું છે એથી હું હવે કદી પણ ભગવાનને નહીં માનું. તેમણે એક સુંદર, નિર્દોષ બાળકને છીનવી લીધો છે.’

