Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > સોમનાથના પુન:નિર્મિત કાર્યમાં કનૈયાલાલ મુનશીના યોગદાનને કેમ ભૂલી શકાય?

સોમનાથના પુન:નિર્મિત કાર્યમાં કનૈયાલાલ મુનશીના યોગદાનને કેમ ભૂલી શકાય?

Published : 24 September, 2023 03:20 PM | IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લાગતું હતું કે સોમનાથ મંદિરના પુન:નિર્મિત કાર્યને અત્યારે હાથમાં લેવાની જરૂર નથી, જેના માટે તેમણે કૅબિનેટની બેઠકમાં પણ ટીકા કરતાં કહ્યું હતું...

કનૈયાલાલ મુનશી

અરાઉન્ડ ધી આર્ક

કનૈયાલાલ મુનશી


અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું મંદિર બનાવવા માટે જાહેરાત થઈ એ સમયે ખાસ્સો રાજકીય વિરોધ થયો હતો, જે ઑલમોસ્ટ બે દશક ચાલ્યો અને એ પછી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું. આઝાદી પછી જ્યારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની જાહેરાત થઈ એ સમયે પણ એવું જ વાતાવરણ સર્જાયું હતું. રાજકારણની દૃષ્ટિએ આ આખી વાતને જોવાની નથી, પણ ઇતિહાસનાં પાનાંઓ પર આ વાત લખાયેલી છે એ જ માત્ર અહીં શૅર કરવાનો હેતુ છે.


સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુન:નિર્માણનું કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ એનો વિરોધ કરતાં એવું નિવેદન કર્યું હતું કે આ હિન્દુ પુનરુત્થાનવાદનું એક એવું પગલું છે જે નવનિર્મિત ભારતમાં લેવું યોગ્ય નથી. જોકે સરદાર પટેલ એ વાત માન્યા નહીં અને પોતાની જીદ પર અડગ રહ્યા. એ સમયે થયેલી દલીલો અને નેહરુજી તથા સરદાર પટેલ વચ્ચેનો વાર્તાલાપ કનૈયાલાલ મુનશીએ ‘પિલગ્રિમ્સ ટુ ફ્રીડમ’માં લખી છે અને અત્યારે એ પુસ્તક પણ બજારમાં છે. જે વાંચવા ઇચ્છે તે એ વાંચી શકે છે.



જવાહરલાલ નેહરુએ કૅબિનેટની બેઠકમાં પણ સરદારે લીધેલા પગલાને વખોડી કાઢ્યું હતું અને સરદાર એ સમયે જવાબ આપવાને બદલે ચૂપ રહ્યા હતા. તેમની એ ચુપકીદીમાં દૃઢતા સાથેનો સંકલ્પ હતો કે આ કામ તો ચોક્કસપણે કરવું જ છે. એ જ કૅબિનેટની બેઠક પછી નેહરુજીએ કનૈયાલાલ મુનશીને રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે ‘તમે આ જે કાર્ય કરી રહ્યા છો એ સોમનાથ પુનરુદ્ધારનું કાર્ય અત્યારે હાથમાં લેવાય એવું હું બિલકુલ ઇચ્છતો નથી એટલે તમે કહી શકો કે આ કાર્ય મારી મરજી વિરુદ્ધ થઈ રહ્યું છે. આ હિન્દુ પુનરુત્થાનવાદનો એક ભાગ છે, જે આ દેશમાં વૈમનસ્ય વધારશે. લોકોને એવું લાગશે કે નવનિર્મિત સરકાર દેશની સેવાનાં કાર્યો કરવાને બદલે મંદિરો બનાવવાનાં કાર્યો કરે છે.’


મુનશીજીએ લખ્યું છે કે સરદાર પોતાની આ બાબતમાં પણ સ્પષ્ટ હતા અને તેમણે સત્તાવારપણે જાહેર પણ કરી દીધું હતું કે આ કાર્યમાં રાજસત્તા પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં. આ કાર્ય આપણી પ્રજાએ જાતે જ ઉપાડી લેવાનું છે અને આ કાર્યમાં કોઈ જાતની રાજકીય મદદની અપેક્ષા રાખવાની રહેતી નથી. એ પછી પણ નેહરુજીના મનમાં કદાચ એવો ભાવ હતો કે પાછલા બારણેથી મંદિર માટે આર્થિક સહાય કરવામાં આવે, પણ એવી કોઈ ગણતરી દૂર-દૂર સુધી સરદારની નહોતી. કનૈયાલાલ મુનશી લખે છે કે મેં એ વિશે ફરી એક વાર નેહરુજીને વાત કરી અને નેહરુજીને કહ્યું કે એક નવી પાઈ પણ આપણી સરકારે ચૂકવવાની નથી કે ખર્ચ ઉપાડવાનો નથી ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને ધારો કે તમને એવું લાગતું હોય તો જે જાહેરાત સરદારે સોમનાથ મંદિરના પટાંગણમાંથી કરી હતી એ જ જાહેરાત તમે પણ વડા પ્રધાનના કાર્યાલયથી કરી શકો છો, પણ નેહરુજી એ માટે તૈયાર નહીં અને તે એક જ વાત પકડીને બેસી રહ્યા કે તમારે આ કાર્ય રોકવું જોઈએ; એટલું જ નહીં, તમારે એ બાબતમાં સરદારને પણ સમજાવવા જોઈએ.

કનૈયાલાલ મુનશીએ કહ્યું કે સરદાર સાથે આ બાબતમાં વાત કરવી એ મારા માટે અસંભવ છે. હાથીના પગમાં હું મારો પગ મૂકું એ ગેરવાજબી કહેવાય, પણ આ કાર્ય શું કામ અત્યંત જરૂરી છે અને શું કામ એ થવું જોઈએ એ વિશે હું ચોક્કસ તમને વાત કહી શકું અને મુનશીજીએ એ કાર્ય કર્યું પણ ખરું.


કનૈયાલાલ મુનશીને નિયમિત ડાયરી લખવાની આદત હતી. તેમણે ઘરે જઈને નેહરુજીને પોતાની ડિસેમ્બર મહિનાની એ ડાયરી મોકલાવી જે મુનશીજીએ ૧૯૨૨માં લખી હતી. મુનશીજીએ પોતાની એ ડાયરી વિશે પણ આ જ પુસ્તકમાં લખ્યું છે. મુનશીજી લખે છે : ૧૯૨૨ના ડિસેમ્બર મહિનામાં હું સોમનાથના ક્ષીણ થઈ ગયેલા મંદિરની તીર્થયાત્રા પર નીકળ્યો. અગાઉ મેં એના વિશે પુષ્કળ સાંભળ્યું હતું, પણ આ વખતે હું એ સ્થળ પર યાત્રાના ભાવથી જ રવાના થયો હતો.

સોમનાથ જઈને મેં જે જોયું એ દૃશ્યથી મારા હૃદયમાં આગ લાગી. અપવિત્ર એવું એ સ્થળ, જેને બાળવામાં આવ્યું હોય એ ત્યાંના પથ્થરોને જોતાં જ ખબર પડતી હતી. દીવાલો જર્જરિત થઈ ગઈ હતી અને એ સ્થળે ઘેટાં-બકરાંઓની વિષ્ટા પડી હતી.

એમ છતાં પણ એ સ્થળની ગરિમા અદ્ભુત હતી. એ દૃઢતા સાથે પોતાની જાતને અડગ ઊભી રાખીને પોતાના જાજરમાન ઇતિહાસનો પુરાવો આપતું હતું. જાણે કે કૃતજ્ઞતા અને અપમાનને ક્યારેય ભૂલવાં નહીં એ વાતનો સંદેશ આપતું એ અડીખમ ઊભું હોય. કઈ વ્યક્તિ આ સંદેશને સમજી ન શકે, કઈ વ્યક્તિ એ સંદેશનો સૂર પકડી ન શકે?

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 03:20 PM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK