રાયડા તેલની આયાત ડ્યુટી હાલમાં ૩૫ ટકા છે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે એક પછી એક પામતેલ, સોયા તેલ અને સનફ્લાવર તેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, પરંતુ રાયડા તેલની ડ્યુટી યથાવત રાખી છે ત્યારે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સોયા-સનફ્લાવરની સાથે રાયડા તેલની આયાત ડ્યુટીમાં પણ સરકાર દ્વારા ૭.૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો તેના ગ્રાહકોને પણ ફાયદો થઈ શકે એમ છે. રાયડા તેલની આયાત ડ્યુટી હાલમાં ૩૫ ટકા છે, જેને ઘટાડીને ૨૭.૫ ટકા કરવામાં આવે એ જરૂરી છે. તેમણે કહ્યું કે સરકારે ખાદ્યતેલની ડ્યુટીનો ફેરફાર બજારને બૅલૅન્સ કરવા માટે કર્યો છે એ આવકારદાયક છે. ઑક્ટોબરથી નવા તેલીબિયાંની આવકો શરૂ થાય ત્યારે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ હેતુથી સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી જ ડ્યુટી ઘટાડાનો નિર્ણય આવકારદાયક છે.