શિખર ધવન સામે સીઝનની પ્રથમ જીત મેળવી શકશે કે.એલ. રાહુલ?

30 March, 2024 11:21 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબને હરાવવા માટે રાહુલની ટીમને ઑલરાઉન્ડર પ્રદર્શન કરવું પડશે.

શિખર ધવન

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની પ્રથમ મૅચ આજે રમાશે. IPL 2024ની ૧૧મી ટક્કર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે થશે. રાજસ્થાન સામે પ્રથમ મૅચમાં ૨૦ રનથી હારનાર લખનઉની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે લેટેસ્ટ સીઝનમાં વિજયી શરૂઆત કર્યા બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે છેલ્લી મૅચ ૪ રનથી હારનાર PBKS ફરી જીતના ટ્રૅક પર વાપસી કરવા ઍક્શન મોડમાં જોવા મળશે. ટૂંકમાં બન્ને ટીમ માટે આજની મૅચમાં જીત મેળવવી જરૂરી છે. બન્ને ટીમ એકબીજા સામે ત્રણ વાર આમનેસામને થઈ છે, જેમાં PBKSને બે વાર હારનો સામનો કરવો પડ્યો છે. આજે ચોથી ટક્કરમાં શિખર ધવન જીતના રેકૉર્ડને બરાબર કરવા ઊતરશે.

પંજાબને હરાવવા માટે રાહુલની ટીમને ઑલરાઉન્ડર પ્રદર્શન કરવું પડશે. ૧૨૦મી IPL મૅચ રમી રહેલા કૅપ્ટન રાહુલની નજર ૧૭મી સીઝનમાં પોતાની ટીમને પ્રથમ જીત અપાવવા પર હશે. આજે ૯૮મી મૅચ રમનાર ક્વિન્ટન ડી કૉક પાસે ૮૯ રનની ઇનિંગ્સ રમીને ૩૦૦૦ IPL રન પૂરા કરવાની તક છે.

sports news sports cricket news lucknow indian premier league