22 February, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
આઇપીએલ ૨૦૨૪ની શરૂઆત પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર ઓપનર વિવાદોમાં ફસાયો છે. સુરતમાં ૨૮ વર્ષની મૉડલ તાનિયા સિંહે ૧૯ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં ભારતીય ક્રિકેટના ઊભરતા સ્ટાર અભિષેક શર્માને પૂછપરછ માટે સુરત પોલીસ દ્વારા સમન મોકલવામાં આવ્યા છે. તાનિયાએ સુરતના વેસુ રોડ પર આવેલા હૅપી એલિગન્સ અપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા આ સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર મૉડલના સંપર્કમાં હોવાના અહેવાલ છે. અભિષેક શર્મા પ્રથમ વખત વિનુ માંકડ ટ્રોફીમાં પંજાબ માટે અન્ડર-19 ડેબ્યુમાં સેન્ચુરી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. તેણે ૨૦૧૬માં અન્ડર-19 એશિયા કપમાં તેની કૅપ્ટનશિપ હેઠળ ભારતને જીત અપાવી હતી. ૨૦૧૮ના અન્ડર-19 વર્લ્ડ કપના થોડા મહિના પહેલાં તેને પૃથ્વી શૉના બદલે કૅપ્ટન બનાવવામાં આવ્યો, તેણે ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૨૦૧૮માં જ તેને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેના વિસ્ફોટક અદાંજને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને સાઇન કર્યો હતો.