૨૪ રન પર ૩ વિકેટ ગુમાવ્યા પછી વિદર્ભે જોરદાર વાપસી કરી

27 February, 2025 09:10 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફીની ફાઇનલના પહેલા દિવસે ૪ વિકેટે ૨૫૪ રન ફટકાર્યા

દાનિશ માલેવરે ૧૩૮ રન ફટકાર્યાં છે.

નાગપુરમાં ગઈ કાલે રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની ફાઇનલ મૅચ શરૂ થઈ હતી. કેરલાના કૅપ્ટન સચિન બેબીએ વિદર્ભ સામે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલી જ ઓવરમાં વિકેટથી ફાઇનલની શરૂઆત કરનાર વિદર્ભે દિવસના અંત સુધીમાં ૮૬ ઓવરમાં ૪ વિકેટે ૨૫૪ રન  ફટકારીને શાનદાર વાપસી કરી હતી. યજમાન ટીમ વિદર્ભે ૨૪ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી હતી ત્યારે ૨૧ વર્ષના દાનિશ માલેવર અને ૩૩ વર્ષના કરુણ નાયરે શાનદાર બૅટિંગ કરીને ટીમની લાજ બચાવી હતી. 

૧૮૮ બૉલમાં ૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૮૬ રનની ઇનિંગ્સ રમનાર કરુણ નાયર સાથે દાનિશ માલેવરે ચોથી વિકેટ માટે ૪૧૪ બૉલમાં ૨૧૫ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. જ્યારે એવું લાગતું હતું કે બન્ને દિવસની રમતના અંત સુધી અણનમ રહેશે ત્યારે તેઓ બિનજરૂરી રન માટે દોડ્યા અને નાયરને પોતાની વિકેટ ગુમાવવી પડી. કેરલા સામે ૨૫૯ બૉલમાં ૧૪ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૩૮ રનની અણનમ ઇનિંગ્સ રમનાર દાનિશ માલેવર આજે યશ ઠાકુર (૧૩ બૉલમાં પાંચ રન અણનમ) વિર્દભની ઇનિંગ્સને આગળ વધારશે.

8000
વિદર્ભના કરુણ નાયરે આટલા રન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂરા કર્યા પોતાની ૧૧૪મી મૅચમાં

ranji trophy vidarbha kerala cricket news sports news sports