પ્લેયરોને રમવાની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપીને અમે વિજય મેળવ્યો: અજિંક્ય રહાણે

09 October, 2024 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ટીમને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ૫૦ લાખ રૂપિયા અને MCA તરફથી એક કરોડ રૂપિયાની ઇનાaમી રકમ મળશે

૨૭ વર્ષ બાદ મુંબઈ ઈરાની કપ જીત્યું

અજિંક્ય રહાણેની આગેવાનીમાં ૨૭ વર્ષ બાદ મુંબઈ ઈરાની કપ જીત્યું હતું. સોમવારે સાંજે ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે ડાન્સ કરીને સન્માન-સમારોહમાં એન્ટ્રી મારી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ ઈરાની કપ ચૅમ્પિયન બનવા બદલ ટીમને એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. મુંબઈની ટીમને ચૅમ્પિયન બનવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે. 

આ ઇવેન્ટમાં કૅપ્ટન રહાણેએ કહ્યું હતું કે ‘સફળતાનું કોઈ રહસ્ય નથી. એક કૅપ્ટન તરીકે ખેલાડીઓને સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપવો મહત્ત્વનો છે, કારણ કે દરેક ખેલાડી પોતાની ક્ષમતા મુજબ મૅચ-વિનર હોય છે.’

૨૨૨ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બનેલા સરફરાઝ ખાને પપ્પા નૌશાદ ખાન અને નાના ભાઈ મુશીર ખાનને ટ્રોફી આપીને ફોટો માટે પોઝ પણ આપ્યો હતો. તેણે અકસ્માતમાં ઘાયલ થયેલા મુશીર ખાનને પોતાની ડબલ સેન્ચુરી સમર્પિત કરી હતી. 

ajinkya rahane mumbai cricket news sports news sports mumbai cricket association indian cricket team