28 August, 2024 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
IPL 2024માં અપેક્ષા અનુસાર પ્રદર્શન ન કરી શકનાર લખનઉ સુપર જાયન્ટ્સ આગામી સીઝન માટે મોટી જાહેરાત કરી શકે છે. હાલમાં જ કૅપ્ટન કે. એલ. રાહુલ સાથે લાંબી મીટિંગ કર્યા બાદ ફ્રૅન્ચાઇઝી ઓનર સંજીવ ગોયન્કાએ આજે પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરી છે જેમાં રાહુલ અને ટીમમાં નવા ફેરફારની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર ઝહીર ખાન IPL 2025માં આ ટીમને કોચિંગ આપી શકે છે.
રિટાયરમેન્ટ પછીનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે કે. એલ. રાહુલે
આ બધા વચ્ચે કે. એલ. રાહુલનાં નિવૃત્તિ વિશેનાં નિવેદન વાઇરલ થઈ રહ્યાં છે. કે. એલ. રાહુલે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે ‘એક દિવસ તો નિવૃત્ત થવાનું જ છે, રિટાયરમેન્ટ પછી શું કરીશ એનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. જો તમે ફિટ છો તો ૪૦ વર્ષ સુધી રમી શકો, ધોની ૪૩ની વયે પણ રમી રહ્યો છે. IPL રમી શકાય, પણ ઇન્ટરનૅશનલ નહીં. હું ૩૦ વર્ષનો થયો ત્યારે જ અનુભવ થઈ ગયો હતો કે હવે મારી પાસે ૧૦ વર્ષ છે. પહેલી વાર મને અનુભવ થયો કે એક દિવસ આ બધું ખતમ થઈ જશે. હવે હું જોઈ શકું છું કે અંત બહુ દૂર નથી.’ કે. એલ. રાહુલ છેલ્લા ઘણા સમયથી શાનદાર ફૉર્મમાં પરત ફરી શક્યો નથી.