06 April, 2025 07:06 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
એમએસ ધોનીના માતા-પિતા આજે મૅચ જોવા આવ્યા હતા (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 શરૂ થઈ ગઈ છે. જોકે આ સિઝનમાં પણ ફરી એક વખત સૌથી વધુ ચર્ચા શું ચેન્નઈ સુપર કિંગ્સ (CKS)ના ભુતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઇપીએલ હશે? એવો પ્રશ્ન દરેક ક્રિકેટ પ્રેમીઓના મનમાં છે. આજે દિલ્હી કૅપિટલ્સ (DC) અને સીએસકે વચ્ચે મુકાબલો જામ્યો છે. આ દરમિયાન એમએસ ધોનીના પેરેન્ટ્સ પણ મૅચ જોવા આવ્યા હતા. એમએસ ધોનીના માતા-પિતા સ્ટેડિયમમાં આવતા દરેકનું ધ્યાન તેમના પર જ છે.
શું મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? શું દિલ્હી કૅપિટલ્સ સામેની આજની મૅચ તેની શાનદાર IPL કારકિર્દીની છેલ્લી મૅચ હોઈ શકે? ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી કૅપિટલ્સ સામે રમી રહી છે. ધોનીના માતા-પિતા આ મૅચ જોવા માટે ચેપૉક સ્ટેડિયમ પહોંચ્યા છે. આ પછી ધોનીની નિવૃત્તિની અટકળો વધુ તીવ્ર બની. ધોનીના પિતાનું નામ પાન સિંહ છે જ્યારે માતાનું નામ દેવકી દેવી છે.
સ્ટેડિયમમાં પહેલી વાર માતા-પિતા આવ્યા છે?
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે. પરંતુ તેના માતાપિતા સાથે આવું નથી. આ જ કારણ છે કે જ્યારે ધોનીના માતા-પિતા સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે ચાહકોએ તેની નિવૃત્તિ અંગે ચર્ચા શરૂ કરી દીધી. આ સિઝનની એક મૅચ દરમિયાન ધોની 9મા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો. સીએસકેના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે 43 વર્ષનો ધોની 10 ઓવર સુધી બૅટિંગ કરી શકતો નથી અને તેથી જ તે છેલ્લે બૅટિંગ કરવા માટે ઉતરે છે.
આજની સીએસકે અને ડીસીની મૅચની વાત કરીએ તો ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરતાં દિલ્હીએ છ વિકેટ ગુમાવતાં 183 રન ફટકારી ચેન્નાઈને 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. મૅચની બીજી ઇનિંગ શરૂ થઈ છે, જોકે ચેન્નાઈ નબળી પરિસ્થિતિમાં છે. ચેસ કરતાં સાત ઓવરમાં સીએસકેએ 49 રન ફટકારતાં પોતાના પહેલાના ત્રણ બૅટરો ગુમાવી દીધા છે. દિલ્લી માટે કેએલ રાહુલે શાનદાર 77 રન ફટકાર્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દી
2008માં ડેબ્યૂ કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં 267 મૅચ રમી છે. તેણે 232 ઇનિંગ્સમાં 5,289 રન બનાવ્યા છે. તેનો સરેરાશ ૩૯.૧૮ અને સ્ટ્રાઇક રેટ ૧૩૭.૭૦ છે. આમાંથી 237 મૅચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમાઈ છે. આમાં તેણે 4,715 રન બનાવ્યા છે. તેનો સરેરાશ ૪૦.૩૦ અને સ્ટ્રાઇક રેટ ૧૩૯.૪૬ છે. તેની કૅપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈ પહેલી જ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. ટીમ 2010 માં પહેલી વાર ચેમ્પિયન બની હતી. રોહિત શર્માની સાથે, ધોની પણ એવો કૅપ્ટન છે જેણે 5 વખત IPLની સૌથી વધુ ટ્રોફી જીતી છે.